ભૂજ કોમ. બેન્કમાં વિવાદ, બોર્ડ વિસર્જનના આરેઃ
પ્રોફેશનલ ડાયરેક્ટરની નિમણૂકના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ફસાયેલ ભૂજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સના વધુ સાત ડાયરેકટરોએ રાજીનામું આપતાં બોર્ડ બરખાસ્તીના આરે પહોંચ્યું છે. અગાઉ બેન્કના મેનેજિંગ ડાયરેકટર દ્વારા અને હવે વર્તમાન ચેરમેન-વાઇસ ચેરમેન સહિત સાત સભ્યોએ વિધિવત રીતે રાજીનામાં આપતા આગળ શું પગલાં લેવા તેના માટે જિલ્લા રજિસ્ટ્રારનું માર્ગદર્શન અને કાનૂની અભિપ્રાય મેળવવાના બેન્કના વહીવટકર્તાઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ૪૨ વર્ષ જૂની આ સહકારી બેન્કમાં આ પ્રકારનો રાજીનામાનો ભૂકંપ પ્રથમ વખત થયો છે. તાજેતરમાં આ બેન્કના પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે શહેર સુધરાઇના કોંગ્રેસી સભ્ય મહેન્દ્ર ડુંગરશી ઠક્કરની નિમણૂક બોર્ડ દ્વારા ગુપ્ત મતદાનની પ્રક્રિયાથી થયા પછી આ વિવાદ ઊભો થયો હતો. જેમાં સૈપ્રથમ બેન્કના મેનેજિંગ ડાયરેકટર ચેતન રવિલાલ શાહે રાજીનામું આપ્યું હતું.
ધોળાવીરાને વધુ જાણીતું કરવા રણમાં દોડ યોજાશેઃ કચ્છના ધોળાવીરા- પુરાતત્વ સાઈટને વધુ જાણીતી બનાવવા આ વર્ષે બીજી વખત અદિર બેટ ખાતે ૬થી ૯ ફેબ્રુઆરી દરમિયાન ૨૧, ૪૨, ૧૦૧ અને ૧૬૧ કિ.મી.ની ચાર ચાર દોડ યોજાશે. પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ‘રન ધ રણ’ના નામે અપહિલ ઈન્વેસ્ટ મીડિયા ગ્રૂપ દ્વારા આ સ્પર્ધા યોજાશે. ગયા વર્ષની દોડમાં ૧૪ દેશોના કુલ ૧૦૮ દોડવીરોએ ભાગ લીધો હતો. જયારે આ વખતે ૧૫ દેશોના ૧૨૫ દોડવીરો ભાગ લેશે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ ખાનગી આયોજનમાંથી ગુજરાત સરકારને કોઈ નાણાકીય લાભ થવાનો નથી, પરંતુ ધોળાવીરા સાઈટ વધુ જાણીતી બનશે, જે રોયલ્ટી બની રહેશે.
કચ્છના ચિત્રકાર ગૌરવ પુરસ્કાર જાહેરઃ ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ માટેના ગૌરવ પુરસ્કારની ગત સપ્તાહે જાહેરાત થઇ છે. જેમાં કચ્છના ચિત્રકાર નવીન સોની સહિત કુલ નવ કલાકારોને ગૌરવ પુરષ્કાર એનાયત કરાયા છે.
