રણછોડપુરામાં સતત ચોથીવાર પંચાયતની ચૂંટણીનો બહિષ્કારઃ
આંકલાવ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન સાત વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં સતત ચોથી વખત ચૂંટણી યોજાશે નહીં. કંથારીયા ગામમાંથી અલગ ગામનો દરજ્જો રણછોડપુરાની પ્રજાને સ્વીકાર્ય ન હોવાથી સતત ચોથી વખત ચૂંટણીના ફોર્મ નહીં ભરી આડકતરી રીતે બહિષ્કાર કર્યો છે. કંથારીયાથી વર્ષ ૨૦૧૧માં સરકારે નિયમ મુજબ રણછોડપુરાને અલગ ગામનો દરજ્જો આપીને ગામના ૮૫૧ મતદારોની મતદાર યાદી પણ અલગ બનાવી હતી. વર્ષ ૨૦૧૨માં ગ્રામ પંચાયતના સાત વોર્ડની રચના કરી પંચાયતની ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ રાજકીય કાવાદાવા શરૂ થતાં વર્ષ ૨૦૧૨માં એક પણ ઉમેદવારી પત્ર નહીં ભરી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. પછી અલગ ગામનો મુદ્દો હાઇ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ હાઇ કોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. બાદમાં વર્ષ ૨૦૧૩માં ફરીથી ચૂંટણી જાહેર થઈ ત્યારે પણ ગ્રામજનોએ એક પણ ઉમેદવારી પત્ર નહીં ભરતાં ચૂંટણી યોજાઈ ન હતી. હવે ૮ ફેબ્રુઆરીએ રણછોડપુરા સહિત જિલ્લાના ૪૮ ગામોમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની છે ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી રણછોડપુરા ગ્રામ પંચાયત માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં ભારે ચકચાર મચી છે.
ચરોતરમાં NRI દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ ૨૬ જાન્યુઆરીએ દેશના ૬૬મા પ્રજાસત્તાક પર્વએ ચરોતરના વિવિધ ગામોમાં વિદેશવાસી ગુજરાતીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આણંદની પર્સનલકેર વિદ્યાલયમાં કેનેડાવાસી મિન્હાજબેન વ્હોરાએ ત્રિરંગો લહેરાવ્યા હતો, જ્યારે આ પ્રસંગે મુખ્યમહેમાન પદે દિનેશભાઇ પટેલ (યુકે) ઉપસ્થિત રહ્યા હતા. સામરખાની એચ. એલ. પટેલ હાઇસ્કૂલમાં વિદેશવાસી શાંતુભાઇ ડી. પટેલે ધ્વજવંદન કરાવ્યું હતું. રૂપારેલની પ્રાથમિક શાળામાં અમેરિકાવાસી નરેન્દ્રભાઇ કનુભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થયું હતું. શાહપુરની પી. એમ. પટેલ હાઇસ્કૂલમાં ગામના વતની અને કેનેડાવાસી હિતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ પટેલે ત્રિરંગાને સલામી આપી હતી. જ્યારે અમેરિકાવાસી દાતા ઇશ્વરભાઇ મહિજીભાઇ પટેલ તરફથી ધો-૧થી ૧૧ના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ તથા બૂટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પેટલાદ તાલુકાના પછાત ગામને પોલીસ વડાએ દત્તક લીધુંઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસથી વંચિત એવા ગામોનો વિકાસ કરવાના હેતુથી સાંસદો, ધારાસભ્યો અને જિલ્લાના અધિકારીઓ દ્વારા દત્તક લઈ તેના વિકાસને નવી રાહ ચિંધીને શહેરની સમકક્ષ બનાવવા માટેની યોજના અમલમાં મૂકી છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા પોલીસ વડા અશોક યાદવે પેટલાદ તાલુકામાં વિકાસથી વંચિત રહેલા નાનકડા લક્કડપુરા ગામને દત્તક લીધું થે. આગામી વર્ષમાં લક્કડપુરાને નવો રંગરૂપ આપી શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની સાથે ગામના યુવકોને રોજગારી આપીને ગામના વિકાસમાં સહભાગી થવાના હેતુથી તેમણે આ ગામને દત્તક લીધું છે.
