સુરતના અગ્રણી શ્રેષ્ઠી સી. કે. પીઠાવાળાનું નિધન

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે.
શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે. મુંબઇની એશિયન હાર્ટ ઇન્સ્ટિટયૂટ હોસ્પિટલમાંથી રવિવારે સાંજે સુરત લવાયા બાદ ૮૮ વર્ષીય છોટુભાઇએ તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
સુરતના છેવાડે ભીમપોરમાં જન્મેલા છોટુભાઇ સુરતમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ધંધાર્થે વિદેશ ગયા હતા. તેમણે સુરતમાં દસ જેટલી સ્કૂલો, નવયુગ સાયન્સ કોલેજ તથા ભીમપોરમાં ડિગ્રી એન્જિનિયરિંગની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. આ શોખને કારણે જ તેમણે સુરતવાસીઓને સી. કે. પીઠાવાળા સ્પોર્ટસ કોમ્પલેક્સની ભેટ આપી છે. આ ઉપરાંત નવસારીમાં પણ સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવ્યું છે. સી. કે. પીઠાવાળા પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇના અંગત મિત્ર પણ હતા.
