રતનમહાલથી વાઘનું નવું સરનામું બન્યું છોટાઉદેપુરનું કેવડી

દાહોદના રતનમહાલ અભયારણ્યમાંથી અચાનક ગુમ થયેલા વાઘનું નવું લોકેશન છોટાઉદેપુરના કેવડી વિસ્તાર તરફ મળતાં વનવિભાગે રાહતનો દમ લીધો છે. ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે હવે છોટાઉદેપુર વનવિભાગ આ રોયલ મહેમાનની સુરક્ષા અને આતિથ્ય માટે સતર્ક બન્યું છે, જેમાં દાહોદ વનવિભાગ પણ પૂરતો સહયોગ આપી રહ્યું છે.
વડોદરાઃ દાહોદના રતનમહાલ અભયારણ્યમાંથી અચાનક ગુમ થયેલા વાઘનું નવું લોકેશન છોટાઉદેપુરના કેવડી વિસ્તાર તરફ મળતાં વનવિભાગે રાહતનો દમ લીધો છે. ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે હવે છોટાઉદેપુર વનવિભાગ આ રોયલ મહેમાનની સુરક્ષા અને આતિથ્ય માટે સતર્ક બન્યું છે, જેમાં દાહોદ વનવિભાગ પણ પૂરતો સહયોગ આપી રહ્યું છે.
ગત 22 ફેબ્રુઆરી 2025ના રોજ રતનમહાલમાં પ્રથમવાર દેખાયેલા આ વાઘે ગુજરાતમાં સફળતાપૂર્વક 17 મહિના પૂર્ણ કર્યા છે. શરૂઆતમાં વનવિભાગે આ બાબત ગોપનીય રાખીને સતત મોનિટરિંગ શરૂ કર્યું હતું. સ્થાનિક ગ્રામજનો સાથે બેઠકો યોજીને સ્વરક્ષણ, વાઘથી સુરક્ષિત અંતર જાળવવા અને તેનો પીછો ન કરવા કે ફોટો વાઇરલ ન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વાઘને રતનમહાલમાં પૂરતો ખોરાક મળી રહે તે માટે સાંભર અને ચિત્તલ જેવાં તૃણભક્ષી પ્રાણીઓ જંગલમાં છોડવામાં આવ્યા હતાં તથા પાણી અને ટ્રેપ કેમેરાની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં મહિસાગર જિલ્લામાં દેખાયેલા વાઘનું ખોરાકના અભાવે માત્ર 20 જ દિવસમાં મોત નીપજ્યું હતું. તે કડવા અનુભવથી પાઠ ભણીને વનવિભાગે આ વખતે પૂરતી તકેદારી રાખી છે. છેલ્લા કેટલાક સમયથી વાઘ ટ્રેપ કેમેરામાં ન દેખાતાં વનપ્રેમીઓમાં ચિંતા વ્યાપી હતી. જો કે સર્ચ ઓપરેશન દરમિયાન તેનું લોકેશન છોટાઉદેપુર-દાહોદ સરહદ વચ્ચે મળતાં તંત્રને હાશકારો થયો છે. ચોમાસાની ઋતુ હોવાથી ગાઢ જંગલમાં મોનિટરિંગ કરવું વનવિભાગ માટે મોટો પડકાર છે. વાઘના 17 મહિનાના સફળ રોકાણ બાદ હવે વન્યજીવ પ્રેમીઓ ગુજરાતમાં તેના કાયમી વસવાટ અંગેની સરકારી સત્તાવાર મહોર વાગે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
