‘3 ઇડિયટ્સ’નું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતુંઃ આમિર

‘3 ઇડિયટ્સ’ રીલિઝ થઈ એનાં થોડા વખત પછીથી ચર્ચા શરૂ થઈ હતી કે આમિરનું પાત્ર રેન્ચો ખરેખર તો લદ્દાખના રિયલ લાઇફ હીરો સોનમ વાંગ્ચુક પરથી પ્રેરિત છે. જોકે આમિર ખાને વર્ષોથી ચાલી રહેલી આ માન્યતાને હવે નકારી કાઢી છે.
‘3 ઇડિયટ્સ’ રીલિઝ થઈ એનાં થોડા વખત પછીથી ચર્ચા શરૂ થઈ હતી કે આમિરનું પાત્ર રેન્ચો ખરેખર તો લદ્દાખના રિયલ લાઇફ હીરો સોનમ વાંગ્ચુક પરથી પ્રેરિત છે. જોકે આમિર ખાને વર્ષોથી ચાલી રહેલી આ માન્યતાને હવે નકારી કાઢી છે. આમિરે સ્પષ્ટ કર્યું કે ફિલ્મ બનાવતી વખતે પોતે કે ફિલ્મના લેખકો સોનમ વાંગચુક વિશે જાણતા પણ નહોતા. લંડનના બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ (BFI)માં 16 જુલાઈએ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન આમિરે આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ગેરસમજ પર આધારિત છે.
આમિરે કહ્યું, ‘ના, આ સાચી વાત નથી. આ એક ગેરસમજ છે. જ્યારે અમે ‘3 ઇડિયટ્સ’ બનાવી રહ્યા હતા ત્યારે હું સોનમ વાંગચુકને ઓળખતો પણ નહોતો. થોડા સમય પહેલાં મેં ‘ચતુર’નો એક વીડિયો જોયો, જેમાં તેણે આ વાત કરી હતી, પરંતુ તે ખોટું છે. કદાચ તેને એવું લાગતું હશે, પરંતુ હું સ્પષ્ટ કહેવા માંગું છું કે ન તો હું અને ન તો ફિલ્મના બન્ને લેખકો રાજકુમાર હિરાની અને અભિજાત જોશી, અમને કોઇને તે સમયે સોનમ વાંગચુક વિશે કોઈ જાણકારી નહોતી.’
આમિરે વધુમાં ઉમેર્યું કે સોનમ વાંગચુકનાં કામનું સન્માન કરવા માટે તેમની કોઈ ફિલ્મી પાત્ર સાથે સરખામણી કરવાની જરૂર નથી. ‘સોનમ જે કામ કરી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. તેઓ ‘3 ઇડિયટ્સ’ના કોઈ પાત્ર પરથી પ્રેરિત હોય કે ન હોય, તેમના કામ માટે અમને તેમના પ્રત્યે સન્માન છે. મેં આ વાત માત્ર મુદ્દો સ્પષ્ટ કરવા માટે કહી છે.’
