નવી રાજ્યાશ્રય નીતિ અંતર્ગત માઇગ્રન્ટે 10,000 પાઉન્ડ ચૂકવવા પડશે
બ્રિટનમાં અસાયલમ મેળવનાર માઇગ્રન્ટ્સે કમાણી શરૂ કર્યા પછી તેમના રહેઠાણ અને સહાયના ખર્ચ પેટે આશરે 10 હજાર પાઉન્ડ પરત ચૂકવવા પડશે. નવા ઇમિગ્રેશન એન્ડ અસાયલમ બિલમાં સામેલ નવા નિયમો હેઠળ પૂરતી નાણાકીય વ્યવસ્થા ધરાવતા પુખ્ત વયના લોકોને સમયાંતરે આ રકમ ચૂકવવા માટે જણાવવામાં આવશે.
લંડનઃ બ્રિટનમાં અસાયલમ મેળવનાર માઇગ્રન્ટ્સે કમાણી શરૂ કર્યા પછી તેમના રહેઠાણ અને સહાયના ખર્ચ પેટે આશરે 10 હજાર પાઉન્ડ પરત ચૂકવવા પડશે. નવા ઇમિગ્રેશન એન્ડ અસાયલમ બિલમાં સામેલ નવા નિયમો હેઠળ પૂરતી નાણાકીય વ્યવસ્થા ધરાવતા પુખ્ત વયના લોકોને સમયાંતરે આ રકમ ચૂકવવા માટે જણાવવામાં આવશે. આ નિયમ એવા રાજ્યાશ્રયવાંચ્છુઓ પર લાગુ થશે જેઓ યુકેમાં કામ કરવાનો અધિકાર ધરાવે છે. આ રકમ સંપૂર્ણપણે ચૂકવાઈ ગયા બાદ જ તેઓ અહીં કાયમી વસવાટ માટે પાત્ર બનશે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદે આ ફેરફારો અંગે જણાવ્યું હતું કે, આ નવી નીતિ એ સાબિત કરશે કે આશ્રય માટે અપાતી સહાય એ માત્ર એક અધિકાર નથી પરંતુ એક જવાબદારી પણ છે.જ્યારે લોકો બ્રિટિશ જનતાની ઉદારતાનો બદલો આપવા અને યોગદાન આપવા સક્ષમ બને ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તેમ કરે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે રાજ્યાશ્રયવાંચ્છુઓ પાછળ કરદાતાઓના અંદાજે 4 બિલિયન પાઉન્ડ ખર્ચવામાં આવ્યા હતા.
રેફ્યુજી કાઉન્સિલ દ્વારા આ યોજનાની આકરી ટીકા કરવામાં આવી છે. કાઉન્સિલે તેને અન્યાયી અને વ્યવહારિક રીતે અશક્ય ગણાવતા કહ્યું છે કે આ શરણાર્થીઓ પર એક વધારાનો ટેક્સ છે, જે પરિવારો માટે પગભર થવાનું વધુ મુશ્કેલ બનાવશે.
