બીઓઆઇ કેસમાં નીરવ મોદીને મોટો ફટકો, 10.7 મિલિયન ડોલર ચૂકવવા આદેશ
લંડનની હાઈકોર્ટે બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભાગેડુ હીરા વેપારી નિરવ મોદી ભારતની પબ્લિક સેક્ટરની બેંકને 10.7 મિલિયન ડોલર ચૂકવવા બંધાયેલા છે.
લંડનઃ લંડનની હાઈકોર્ટે બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભાગેડુ હીરા વેપારી નિરવ મોદી ભારતની પબ્લિક સેક્ટરની બેંકને 10.7 મિલિયન ડોલર ચૂકવવા બંધાયેલા છે.
લંડન સર્કિટ કોમર્શિયલ કોર્ટના જજ સિમોન ટિંકલરે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, નીરવ મોદી પર્સનલ ગેરંટી હેઠળ બેંકની 4.1 મિલિયન ડોલરની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે, જેમાં બેંક દ્વારા નિર્ધારિત વ્યાજની રકમ પણ ઉમેરવામાં આવશે. આ રકમ ચૂકવવામાંથી મુક્તિ મેળવવા માટે નિરવ મોદી અદાલત સમક્ષ કોઈ યોગ્ય બચાવ પક્ષ રજૂ કરી શક્યા નથી.
નિરવ મોદીએ સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે આ ગેરંટી કાનૂની રીતે લાગુ કરી શકાય તેવી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને બેંક તરફથી કોઈ માન્ય નોટિસ મળી ન હતી અને લોન રદ કરવા માટે કોઈ નક્કર પ્રતિકૂળ કારણો ન હતા. બેંક ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2012માં દુબઈ સ્થિત નિરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડને લોન આપી હતી. તેના માટે નિરવ મોદીએ 3 ઓગસ્ટ 2013ના રોજ પર્સનલ ગેરંટી આપી હતી.
