રાજાશાહીની નવી વ્યાખ્યા: કિંગ ચાર્લ્સ હવે તમામ ધર્મોના રક્ષક

બકિંગહામ પેલેસ દ્વારા કિંગના સત્તાવાર કાર્યક્ષેત્રની જાહેર કરાયેલી નવી વ્યાખ્યા અનુસાર હવે કિંગ ચાર્લ્સની સત્તાવાર જવાબદારી બહુધર્મી રાષ્ટ્રમાં તમામ ધર્મોનું રક્ષણ કરવાની રહેશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વોચ્ચ વડા હોવાની સાથેસાથે કિંગ ચાર્લ્સ હવેથી તમામ ધર્મો માટે સમાન વાતાવરણનું રક્ષણ કરશે.
લંડનઃ બકિંગહામ પેલેસ દ્વારા કિંગના સત્તાવાર કાર્યક્ષેત્રની જાહેર કરાયેલી નવી વ્યાખ્યા અનુસાર હવે કિંગ ચાર્લ્સની સત્તાવાર જવાબદારી બહુધર્મી રાષ્ટ્રમાં તમામ ધર્મોનું રક્ષણ કરવાની રહેશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વોચ્ચ વડા હોવાની સાથેસાથે કિંગ ચાર્લ્સ હવેથી તમામ ધર્મો માટે સમાન વાતાવરણનું રક્ષણ કરશે.
બકિંગહામ પેલેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાહી પરિવારના સોવરિન ગ્રાન્ટ રિપોર્ટ 2025-2026માં આ સુધારો પ્રસિદ્ધ કરાયો છે. અગાઉની વ્યાખ્યામાં કિંગને માત્ર ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વડા અને ખ્રિસ્તી ધર્મના રક્ષક તરીકે જ દર્શાવવામાં આવતા હતા.
કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પહેલાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી હતી કે શું તેઓ તેમના પૂર્વજોની જેમ માત્ર ખ્રિસ્તી ધર્મના રક્ષક બનવાનું પસંદ કરશે કે પછી તમામ ધર્મોના રક્ષક બનશે. કિંગ ચાર્લ્સ અગાઉ પ્રિન્સ ઓફ વેલ્સ હતા ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે હંમેશા વિવિધ ધર્મો વચ્ચેના સંવાદ પર વિશેષ ભાર મૂક્યો છે. તેઓ બ્રિટન અને વિશ્વભરમાં યહૂદી, મુસ્લિમ, શિખ, ઓર્થોડોક્સ અને અન્ય ધાર્મિક સમુદાયો સાથે સતત જોડાયેલા રહે છે.
