બાંકીપુરથી જીત સાથે પ્રશાંત કિશોરની રાજકીય કારકિર્દી શરૂ

જેન-ઝીના આંદોલન બાદ ભાજપ માટે ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના સોમવારે જાહેર થયેલાં પરિણામો ઉત્સાહજનક રહ્યાં નહોતાં. ગુજરાત, બિહાર તથા મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યો પૈકી બેમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર ગુજરાતમાં જ ભાજપ પોતાની બેઠક સાચવી શક્યું હતું. બીજી તરફ ભાજપનો ગઢ ગણાતી બિહારના બાંકીપુરની વિધાનસભા બેઠક પર 31 વર્ષનું એકચક્રી વર્ચસ્વ તોડી જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે ઐતિહાસિક જીત મેળવી પોતાની રાજકીય સફરની ઐતિહાસિક શરૂઆત કરી છે.
પટણાઃ જેન-ઝીના આંદોલન બાદ ભાજપ માટે ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના સોમવારે જાહેર થયેલાં પરિણામો ઉત્સાહજનક રહ્યાં નહોતાં. ગુજરાત, બિહાર તથા મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યો પૈકી બેમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર ગુજરાતમાં જ ભાજપ પોતાની બેઠક સાચવી શક્યું હતું. બીજી તરફ ભાજપનો ગઢ ગણાતી બિહારના બાંકીપુરની વિધાનસભા બેઠક પર 31 વર્ષનું એકચક્રી વર્ચસ્વ તોડી જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે ઐતિહાસિક જીત મેળવી પોતાની રાજકીય સફરની ઐતિહાસિક શરૂઆત કરી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી પડેલી આ બેઠક પર પ્રશાંત કિશોરે ભાજપના નીરજ કુમારને 19,234 મતથી હાર આપી હતી. કિશોરને 64,151 જ્યારે નીરજ કુમારને 44,827 મતો મળ્યા હતા. પેટાચૂંટણીમાં માત્ર 34.30 ટકા મતદાન નોંધાયું હતું. બિહાર ઉપરાંત મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા બેઠક પર પણ ભાજપનો પરાજય થયો હતો. કોંગ્રેસ દતિયામાં પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહે ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીને 6,106 મતોથી હરાવ્યા હતા.
આ પેટાચૂંટણીમાં ભાજપને એકમાત્ર ગુજરાતમાં વિજયનો સ્વાદ ચાખવા મળ્યો હતો. વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના સતિષભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,000 મતોથી હરાવી આ બેઠક જાળવી રાખી હતી.
પોતાની જીત બાદ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર નિશાન સાધતાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, આજના પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચેતવણી સમાન છે.
કોણ છે પ્રશાંત કિશોર?
પ્રશાંત કિશોર, જેમને રાજકીય વર્તુળોમાં 'PK' પણ કહેવામાં આવે છે, ભારતના સૌથી લોકપ્રિય રાજકીય સલાહકારોમાંથી એક રહ્યા છે. તેમને પ્રથમ વખત ઓળખ 2014 માં PM મોદીના સફળ ચૂંટણી પ્રચાર પછી મળી હતી. જોકે, સમય સાથે પ્રશાંત કિશોર ઉમેદવારો અને પક્ષો માટે પ્રચાર ચલાવવાથી લઈને પોતાની પાર્ટી બનાવવા અને હવે બાંકીપુરમાં ભાજપના ગઢને તોડનારા નેતા તરીકે ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે.
