યુકેના 21 બંદર હસ્તગત કરવા અદાણી પોર્ટ્સની કવાયત
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ યુકેમાં મોટું અધિગ્રહણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બ્રિટનની સૌથી મોટી પોર્ટ ઓપરેટર એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ ખરીદવા બોલી લગાવવાની વિચારણા કરી રહી છે.
લંડનઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ યુકેમાં મોટું અધિગ્રહણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બ્રિટનની સૌથી મોટી પોર્ટ ઓપરેટર એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ ખરીદવા બોલી લગાવવાની વિચારણા કરી રહી છે. રિપોર્ટ અનુસાર એબીપીમાં અંદાજે 63.9 ટકાનો હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવ્યો છે.
એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં 21 વ્યૂહાત્મક બંદરોનું સંચાલન કરે છે. જેમાં યુકેના સૌથી મોટું બંદર ઈમિંગહામ અને વાર્ષિક 40 બિલિયન પાઉન્ડની નિકાસ ધરાવતું સાઉધમ્પ્ટન બંદર સામેલ છે. એબીપીના બંદરો યુકેના દરિયાઇ વેપારનો 25 ટકા હિસ્સો સંભાળે છે. વર્ષ 2025માં તેના તાબા હેઠળના બંદરોએ 42.5 મિલિયન ટન બલ્ક કાર્ગો અને 3.1 મિલિયન યુનિટાઈઝ્ડ કાર્ગોનું હેન્ડલિંગ કર્યું હતું.
અદાણી પોર્ટ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત હોય અને હિતધારકો માટે મૂલ્ય નિર્માણ કરતી તકોનું સતત મૂલ્યાંકન કરીએ છીએ. નીતિગત ધોરણે અમે બજારની અટકળો કે અફવાઓ પર ટિપ્પણી કરતા નથી. ઉલ્લેખનીય છે કે અદાણી પોર્ટ્સ ભારતમાં 15 મલ્ટી-કાર્ગો બંદરો અને ઇઝરાયેલ, તાન્ઝાનિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયામાં 4 આંતરરાષ્ટ્રીય બંદરોનું સંચાલન કરે છે.
