હિન્દુ જીવનશૈલીના આસ્થા અને બંધુત્વના મૂલ્યો ઉજાગર કરતા સેમિનારમાં હજારોની ઉપસ્થિતિ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે (SSGP UK) દ્વારા 22થી 26 જુલાઈ, 2025ના દિવસોમાં કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસનો હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત સમૂહ કથાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્યા, ટાન્ઝાનિયા અને ભારત તેમજ સમગ્ર યુકેમાંથી 3000 કરતાં વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્ ભાગવતના ઉપદેશો પર કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ, ભક્તિમય પૂજા, સાંસ્કૃતિક ઉજવણીઓ અને કોમ્યુનિટી ભાઈચારાના પાંચ દિવસીય કાર્યક્રમંમાં તમામ વયના સભ્યો સાથેના પરિવારો એકત્ર થયા હતા.
લંડનઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે (SSGP UK) દ્વારા 22થી 26 જુલાઈ, 2025ના દિવસોમાં કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસનો હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત સમૂહ કથાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્યા, ટાન્ઝાનિયા અને ભારત તેમજ સમગ્ર યુકેમાંથી 3000 કરતાં વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્ ભાગવતના ઉપદેશો પર કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ, ભક્તિમય પૂજા, સાંસ્કૃતિક ઉજવણીઓ અને કોમ્યુનિટી ભાઈચારાના પાંચ દિવસીય કાર્યક્રમંમાં તમામ વયના સભ્યો સાથેના પરિવારો એકત્ર થયા હતા.
આ સેમિનાર પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના પવિત્ર અને સન્માનીય શિષ્યો પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજીની પૂણ્યસ્મૃતિને સમર્પિત હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, ભક્તોએ હિન્દુત્વના શાશ્વત મૂલ્યો અને ઉપદેશો પર મનન સાથે સંતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મુખ્ય વક્તા પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પાંચ દિવસ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું અમૃતપાન કરાવ્યું હતું. રામસુખદાસજી સ્વામી, ભક્તિવેદાંતદાસજી સ્વામી, નિરંજનદાસજી સ્વામી, વિશ્વમંગલ સ્વામી, દિવ્યસાગરદાસજી સ્વામી, સર્વમંગલદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી અને પાર્ષદ શ્રી ઘનશ્યામ ભગતની સાથે રહી તેઓએ ભક્તોને તેમની આસ્થાને મજબૂત બનાવવા અને તેમના રોજિંદા જીવનમાં આધ્યાત્મિક સિદ્ધાંતોને અમલી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં દૈનિક કથા, આરતી અને મહાપ્રસાદનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, શ્રીરામ પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, રાસ ઉત્સવ, મહાપૂજા, અન્નકૂટ કથા અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પરફોર્મન્સીસ પણ યોજાયાં હતાં. પૂજા-પ્રાર્થના, ચિંતન અને કોમ્યુનિટીની ઉપસ્થિતિના પાંચ દિવસ અને કથાની પૂર્ણાહુતિ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.
મુખ્ય કાર્યક્રમની સાથોસાથ SSGP UK દ્વારા ‘ધ પાવર વિધિન’ યુથ ક્લબનું આયોજન કરાયું હતું જેમાં, સાત અનેતેથી વધુ વયનાબાળકો માટે ઈન્ટરએક્ટિવ ઈંગ્લિશ ભાષાના સેશન્સ ઓફર કરાયા હતા. આ ઈનિશિયેટિવ થકી યુવા લોકોને ચર્ચા, જ્ઞાન તેમજ ભગવાન ગણેશથી પ્રેરિત મૂલ્યો અને હનુમાનજીની શક્તિ અને સમર્પણની પ્રવૃત્તિઓનુંપ્રોત્સાહન સાંપડ્યું હતું. કાર્યક્રમમાં ભક્તો માટે પોથી યજમાન સેવા અને પરિવારોને પોતાના ઘરોમાં મંત્રોચ્ચાર યોજવા હર ઘર મંત્ર અનુષ્ઠાનમાં ભાગ લેવાની તક સહિત SSGP UK ના વ્યાપક કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝ પર પ્રકાશ પથરાયો હતો.
આ ઈવેન્ટમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી આધારિત ન્યૂઝપેપર્સ મારફત બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની સેવા અને માહિતગાર રાખવાના કાર્યોમાં દીર્ઘકાલીન યોગદાન આપવા બદલ તેમને સ્ટેજ પર આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. હેરોના મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલી, હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર મીનાબહેન પરમાર, હેરો અને બ્રેન્ટના કાઉન્સિલરો, ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર શૌનક ઋષિ દાસ, જ્યુઈશ કોમ્યુનિટીના પ્રતિનિધિઓ અને મહાનુભાવો સહિત નાગરિક, ધર્મ અને કોમ્યુનિટીના અગ્રણીઓ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સમાપન સંબોધનમાં SSGP UKના ટ્રસ્ટીઓ, ઓર્ગેનાાઈઝિંગ કમિટી, વોલન્ટીઅર્સ, કિચન ટીમ, મહિલા શાખા તેમજ જેમના સમર્પણથી પાચ દિવસનો ઈવેન્ટ સફળ થયો તેવા ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
