અગ્રણી બેરિસ્ટર રાજીવ મેનન (કેસી) સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી
પેલેસ્ટાઈન એક્શનના એક્ટિવિસ્ટ સામે ચાલી રહેલા એક કેસ દરમિયાન ન્યાયાધીશના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ અગ્રણી બેરિસ્ટર રાજીવ મેનન (કેસી) સામે અદાલતની અવમાનના બદલ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
લંડનઃ પેલેસ્ટાઈન એક્શનના એક્ટિવિસ્ટ સામે ચાલી રહેલા એક કેસ દરમિયાન ન્યાયાધીશના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ અગ્રણી બેરિસ્ટર રાજીવ મેનન (કેસી) સામે અદાલતની અવમાનના બદલ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. રાજીવ મેનનને આગામી 28 જુલાઈના રોજ લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે. બે દિવસ ચાલનારી આ સુનાવણીમાં તેઓ પોતાની આખરી દલીલો દરમિયાન જ્યુરીને ગેરમાર્ગે દોરવા અને ન્યાયાધીશના નિર્દેશોની અવગણના કરવાના આરોપોનો સામનો કરશે.
ગયા મહિને જસ્ટિસ જોન્સને આ મામલો જસ્ટિસ નિકલિન સમક્ષ મોકલી આપ્યો હતો જેથી નક્કી થઈ શકે કે મેનન સામે અવમાનનાની કાર્યવાહી થવી જોઈએ કે નહીં. અદાલતી આદેશમાં જસ્ટિસ નિકલિને જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ પુરાવા મળ્યા છે કે રાજીવ મેનને અદાલતની અવમાનના કરી હોઈ શકે છે, અને જનહિતને ધ્યાનમાં રાખીને અદાલત દ્વારા આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવી જરૂરી છે.
કોર્ટ ઓફ અપીલમાં મેનનનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ એડ્રિયન વોટરમેન (કેસી)એ જણાવ્યું હતું કે, બેરિસ્ટર મેનન જાણતા નહોતા કે તેઓ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને તેમની સામે જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તેનાથી તેઓ અત્યંત આઘાતમાં છે.
