આખરે ભારતીય સૈનિકોની શહાદતને માન્યતા
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે.
લંડનઃ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે. ઈતિહાસકારો અને સ્વયંસેવકોના વર્ષોના સંશોધન બાદ કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ કમિશન (CWGC) એ બ્રિટિશ ઇન્ડિયન આર્મીના 9,909 સૈનિકોના નામ પોતાની કેઝ્યુઅલ્ટી ડેટાબેઝમાં ઉમેર્યા છે. આ સૈનિકોમાંના મોટાભાગના અવિભાજિત બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના હતા.
આ ઐતિહાસિક સફળતા પાકિસ્તાનના લાહોર મ્યુઝિયમમાં સચવાયેલા ઐતિહાસિક સૈન્ય દસ્તાવેજોના ડિજિટાઈઝેશન અને ઊંડા અભ્યાસના લાંબા પ્રયાસો બાદ મળી છે. આનાથી એવા હજારો સૈનિકોની ઓળખ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળી છે, જેમનું બલિદાન દાયકાઓ સુધી સત્તાવાર સરકારી ચોપડે નોંધાયા વિનાનું રહી ગયું હતું.
આ અપડેટ કરાયેલા રેકોર્ડે યુદ્ધમાંથી ક્યારેય પાછા ન ફરેલા પોતાના પૂર્વજો વિશે માહિતી શોધી રહેલા પરિવારોને આશ્વાસન આપ્યું છે. CWGC હવે આવા અન્ય સૈનિકોના વંશજોને શોધવા માટે કામ કરી રહ્યું છે. CWGC ના જણાવ્યા અનુસાર, આ 9,909 સૈનિકોમાંથી ઘણા એવા હતા જેઓ રણમેદાનથી દૂર ઈજાઓ અથવા બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. તે સમયની બ્રિટિશ ભારત સરકારની નીતિઓને કારણે તેમને સત્તાવાર યુદ્ધ સ્મારકો કે સન્માનોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. હવે તે જૂના નિર્ણયોને બદલી નાખવામાં આવ્યા છે.
