ઑક્સફર્ડની ડિગ્રી અંગે જુઠ્ઠાણા બદલ બરતરફ ભારતીય મૂળના બેરિસ્ટરે અપીલ જીતી
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હોવાનો ખોટો દાવો કરીને યુકેની બેરિસ્ટર ચેમ્બરને ગેરમાર્ગે દોરવા બદલ કાનૂની વ્યવસાયમાંથી બરતરફ કરાયેલા ભારતીય મૂળના વકીલ અનુરાગ મોહિન્દ્રુએ હાઈકોર્ટમાં પોતાની અપીલ જીતી લીધી છે.
લંડનઃ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હોવાનો ખોટો દાવો કરીને યુકેની બેરિસ્ટર ચેમ્બરને ગેરમાર્ગે દોરવા બદલ કાનૂની વ્યવસાયમાંથી બરતરફ કરાયેલા ભારતીય મૂળના વકીલ અનુરાગ મોહિન્દ્રુએ હાઈકોર્ટમાં પોતાની અપીલ જીતી લીધી છે. હાઈકોર્ટે તેમના પર લાદવામાં આવેલા કાયમી પ્રતિબંધને રદ કરીને તેને માત્ર ચોક્કસ સમયગાળાના સસ્પેન્શનમાં ફેરવી નાખ્યો છે. આ સસ્પેન્શનની મુદત પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે તેઓ ફરીથી બેરિસ્ટર તરીકે પોતાની સેવાઓ શરૂ કરી શકશે.
અનુરાગ મોહિન્દ્રુ પર ટેનન્સી માટેની અરજી દરમિયાન ખોટી માહિતી આપવાનો આરોપ હતો. તેમણે પોતાના બાયોડેટામાં એવો દાવો કર્યો હતો કે તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બાયોમેડિકલ સાયન્સ અને મેડિસિન ભણ્યા છે જે હકીકત તદ્દન ખોટી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક સ્વતંત્ર ટ્રિબ્યુનલે આ મામલે મોહિન્દ્રુને વ્યાવસાયિક ગેરઆચરણ માટે દોષિત ઠેરવીને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, હાઈકોર્ટના તાજેતરના ચુકાદા બાદ BSB એ પોતાના રેકોર્ડમાં સુધારો કરીને મોહિન્દ્રુના પ્રતિબંધને સસ્પેન્શનમાં બદલ્યો છે, જેની મુદત હવે વીતી ચૂકી છે.
