કાઉન્ટ ડાઉન શરૂઃ ભારત સાથેના વેપાર કરારથી બ્રિટિશ ઉદ્યોગજગતમાં ભારે ઉત્સાહ
ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારને પગલે બ્રિટિશ ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 15 જુલાઈથી આ કરાર સત્તાવાર રીતે અમલમાં આવ્યા બાદ બંને દેશોનો આર્થિક વિકાસ વેગ પકડશે તેમ યુકે-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ગ્રુપના સીઇઓ કિશોર જયરામને જણાવ્યું છે.
લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારને પગલે બ્રિટિશ ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 15 જુલાઈથી આ કરાર સત્તાવાર રીતે અમલમાં આવ્યા બાદ બંને દેશોનો આર્થિક વિકાસ વેગ પકડશે તેમ યુકે-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ગ્રુપના સીઇઓ કિશોર જયરામને જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત અને યુકે આ વેપાર કરાર થકી ભવિષ્યમાં એક મજબૂત આર્થિક બળ તરીકે ઉભરી આવશે.
બ્રિટિશ સંસદની બહાલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મહિનાથી વેપાર કરારનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. આ કરારને કારણે વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વ્યાપાર બમણો થઈ શકે છે.
કિશોર જયરામનના જણાવ્યા અનુસાર, આ કરારથી નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ક્રિએટિવ સેક્ટરને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની સુવર્ણ તક મળશે. આ કરારથી સૌથી વધુ લાભ મેળવનારા મુખ્ય ક્ષેત્રોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય સેવાઓ, ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થકેર અને લાઇફ સાયન્સિસનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત પાસે અદ્ભુત ક્ષમતા અને કૌશલ્ય છે જેના કારણે ભારતીય બજારમાં વેપારનું કદ વધારવા ઈચ્છતી કંપનીઓ માટે કામગીરી સરળ બનશે. આ વેપાર કરાર બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવું પરિમાણ આપશે.
