ભારત-ઇન્ડોનેશિયા માત્ર સમુદ્રથી જ નહીં, સહિયારા ઇતિહાસ-સંસ્કૃતિથી પણ જોડાયેલા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયા મુલાકાતના બીજા દિવસે મંગળવારે સંસદને સંબોધતાં કહ્યું હતું કે કહ્યું, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનો પક્ષકાર છે. બધા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા રહે.’ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને લઈને ઘણા દેશોની ચિંતા વધી છે.
જાકાર્તાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયા મુલાકાતના બીજા દિવસે મંગળવારે સંસદને સંબોધતાં કહ્યું હતું કે કહ્યું, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનો પક્ષકાર છે. બધા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા રહે.’ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને લઈને ઘણા દેશોની ચિંતા વધી છે.
બીજી તરફ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ મોદીના વખાણ કરતા કહ્યું, ‘હું તમારી કારકિર્દીની નકલ કરું છું.’ તેમણે આટલું કહેતા જ તાળીઓ પડવા લાગી. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ઘણી યોજનાઓ સફળ રહી છે. તેથી તેઓ તેમને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારું થયું કે આ યોજનાઓ પર કોપીરાઇટ નથી.
સોમવારે ઇન્ડોનેશિયાની ત્રીજી મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત થયું હતું. વડાપ્રધાન મોદીનું વિમાન ઇન્ડોનેશિયાની એર સ્પેસમાં પ્રવેશ્યું કે તરત જ ઇન્ડોનેશિયન એરફોર્સના ફાઇટર જેટે એસ્કોર્ટ કરીને અનોખું સન્માન આપ્યું હતું. આ ઉપરાંત મોદીને આવકારવા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા હતા અને ઉષ્માભેર આવકાર્યા હતા.
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે મંગળવારે જકાર્તામાં 20 કરારો થયા હતા. સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મોસ ડીલ રહી. આ અંગે બંને દેશો વચ્ચે છેલ્લા 4 મહિનાથી વાતચીત ચાલી રહી હતી. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઈલના વધારાના યુનિટ આપશે. આ સાથે ફિલિપાઇન્સ, વિયેતનામ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર ત્રીજો દેશ બની ગયો છે.
વડાપ્રધાન ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન જશે. આ મંદિર 1000 વર્ષથી પણ વધુ જૂનું છે.
સંસ્કૃતિ-સંબંધ-સહયોગઃ
મોદીના સંબોધનના કેન્દ્રસ્થાને
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને ઇન્ડોનેશિયા માત્ર સમુદ્રથી જ નહીં, પરંતુ સહિયારા ઇતિહાસથી પણ જોડાયેલા છે. આપણા સંબંધોના મૂળ રામાયણ અને મહાભારતના વારસામાં છે. ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય પ્રતીક ગરુડ પણ આપણા સાંસ્કૃતિક સંબંધોની ઓળખ છે. બાલી જાત્રા જેવા ઉત્સવો આપણી સહિયારી પરંપરાઓને દર્શાવે છે.
મોદીએ કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારત-ઇન્ડોનેશિયા વચ્ચેનો વેપાર વધીને 25 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. આજે આખી દુનિયા અવકાશ ક્ષેત્રમાં ભારતની ક્ષમતાને માને છે. આ ક્ષેત્રમાં ભારત, ઇન્ડોનેશિયાને પોતાનો મહત્વનો ભાગીદાર માને છે.આપણી રાજધાનીઓ ભલે હજારો કિમી દૂર હોય, પરંતુ સમુદ્રમાં આપણી વચ્ચે 150 કિમીનું જ અંતર છે. બીજા દેશોમાં ભલે સમુદ્ર અંતરનું કારણ રહ્યો હોય, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા માટે સમુદ્ર એક સેતુ છે.
4 મહત્વપૂર્ણ નિર્ણયો, અનેક સમજૂતી
વડાપ્રધાન મોદીના ત્રણ દિવસના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય મંત્રણા બાદ બન્ને દેશોએ સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ચાર મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જેમાં એક તો, ભારત ઈન્ડોનેશિયાને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવામાં મદદ કરશે. આ બાબતને ભારતની ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. બીજું, ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતના ‘અસ્ત્ર’ (Astra) એર-ટુ-એર મિસાઈલના પ્રદર્શન બાદ, ઈન્ડોનેશિયાએ તેને ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, ભારત ઈન્ડોનેશિયાને બ્રહ્મોસ (BrahMos) મિસાઈલના યુનિટ પણ પૂરા પાડશે. ત્રીજું, મહત્વપૂર્ણ ખનિજો માટેની સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે, ભારત ઇન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર-અર્થ મેગ્નેટ્સના ઉત્પાદનમાં રોકાણ કરશે. અને ચોથું, ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત રીતે સબાંગ બંદરનો વિકાસ કરશે. આ બંદર ભારતની ગ્રેટ નિકોબાર બંદર પ્રોજેક્ટથી લગભગ 100 માઈલ દૂર છે.
આ ઉપરાંત બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા સંમત થયા છે. તો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ જોડાણને મજબૂત બનાવવા માટે એક કરાર થયો છે. બંને દેશોએ વ્યૂહાત્મક માળખાગત પ્રોજેક્ટ્સ પર સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. બંને નેતાઓ 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવા સંમત થયા છે. રક્ષા, દરિયાઈ સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો, ચૂંટણી ટેકનોલોજી અને વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કરાર થયા.
2000 વર્ષ પુરાણો સાંસ્કૃતિક નાતો
ભારત અને ઇન્ડોનેશિયાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની વાત કરીએ તો, તેઓ લગભગ 2,000 વર્ષ જૂના માનવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતીય વેપારીઓ, હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિનો ઇન્ડોનેશિયા પર ઊંડો પ્રભાવ રહ્યો છે. આજે પણ ઇન્ડોનેશિયાના બાલી અને જાવામાં રામાયણ અને મહાભારત પર આધારિત નૃત્ય-નાટકો અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રચલિત છે. ત્યાં 85 ટકા મુસ્લિમ વસ્તી હોવા છતાં પણ નોટ પર ભગવાન ગણેશનો ફોટો છપાયેલો છે. આ ઉપરાંત પણ ઘણા એવા પ્રતીકો છે, જેમાં ભારતીય સંસ્કૃતિની છાપ જોવા મળે છે.
ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર
પ્રમ્બાનન મંદિર એ ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં ત્રણ વખત ઇન્ડોનેશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે, પ્રમ્બાનન મંદિરની આ તેમની પ્રથમ મુલાકાત હશે.
