યુકેમાંથી દેવી વાગ્દેવીની પ્રતિમા પરત લાવવા ભારતે રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા
ભારતે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી 11મી સદીની દેવી વાગ્દેવીની ઐતિહાસિક મૂર્તિને ભારત પરત લઇ જવા માટે રાજદ્વારી પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ધાર સ્થિત ભોજશાળા સાથે જોડાયેલી આ મૂર્તિનો મુદ્દો ભોપાલ ખાતે આયોજિત બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠકમાં પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.
લંડનઃ ભારતે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી 11મી સદીની દેવી વાગ્દેવીની ઐતિહાસિક મૂર્તિને ભારત પરત લઇ જવા માટે રાજદ્વારી પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ધાર સ્થિત ભોજશાળા સાથે જોડાયેલી આ મૂર્તિનો મુદ્દો ભોપાલ ખાતે આયોજિત બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠકમાં પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.
ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ સરકારની સત્તાવાર વિનંતી બાદ ભારત સરકારે યુકે સ્થિત ભારતીય દૂતાવાસ અને બ્રિટિશ મ્યુઝિયમ સાથે સતત સંપર્ક વધાર્યો છે. સફેદ આરસપહાણમાંથી બનેલી આ મૂર્તિ પરમાર કાળની છે અને 11મી સદીના ધાર શહેર સાથે સંકળાયેલી છે. આશરે 1.28 મીટર ઊંચી અને 250 કિલો વજન ધરાવતી આ મૂર્તિને 1909માં મેજર-જનરલ વિલિયમ કિંકેડ દ્વારા બ્રિટિશ મ્યુઝિયમમાં જમા કરાવવામાં આવી હતી.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે 15 મેના રોજ ભોજશાળા સંકુલ અંગે મહત્વનો ચુકાદો આપતાં તેને દેવી વાગ્દેવીનું મંદિર ગણાવ્યું હતું અને વિદેશથી મૂર્તિ પરત લાવવા માટેના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. ભારતે 2014 પછી અત્યાર સુધીમાં 653થી વધુ પ્રાચીન મૂર્તિઓ અને ઐતિહાસિક અવશેષો વિદેશોમાંથી સફળતાપૂર્વક પરત મેળવ્યા છે.
