ઊંઝાના જીરું અને વરિયાળીને પ્રતિષ્ઠિત GI ટેગ

ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ હવે ઊંઝાના જીરું અને વરિયાળીને પણ GI ટેગ (Geographical Indication) મળ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડ તેના મસાલા માટે ખૂબ વખણાય છે, ત્યારે વર્ષે અંદાજે રૂ. 4000 કરોડનું ટર્નઓવર ધરાવતા એશિયાના સૌથી મોટા જીરું અને વરિયાળી માર્કેટને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેતનું પ્રમાણપત્ર એનાયત કરાતાં હવે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે.
ઊંઝાઃ ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ હવે ઊંઝાના જીરું અને વરિયાળીને પણ GI ટેગ (Geographical Indication) મળ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડ તેના મસાલા માટે ખૂબ વખણાય છે, ત્યારે વર્ષે અંદાજે રૂ. 4000 કરોડનું ટર્નઓવર ધરાવતા એશિયાના સૌથી મોટા જીરું અને વરિયાળી માર્કેટને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેતનું પ્રમાણપત્ર એનાયત કરાતાં હવે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. આમ ઊંઝાનું જીરું અને વરિયાળી વિશ્વભરમાં પોતાની એક આગવી બ્રાન્ડ તરીકે ધૂમ મચાવશે.
આ નોંધણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના નામે કરવામાં આવી છે. આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સરકારના બાગાયત વિભાગ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને આઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત GI ટેગ મળવો એ માત્ર ઊંઝા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. હવે ગ્રાહકોને પણ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ‘ઊંઝા જીરું અને વરિયાળી’ સત્તાવાર બ્રાન્ડનેમ સાથે મળી શકશે, જેનાથી નકલી માલના વેચાણ પર પણ લગામ કસાશે.
