યુકે – ભારત દ્વિપક્ષીય વેપારમાં સુવર્ણ યુગ
યુકે અને ભારત વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતની સૌથી મોટી દ્વિપક્ષીય વેપાર સંધિઓ પૈકીની એક છે. વેપાર કરારની સાથે જ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ તે જ દિવસથી લાગુ થશે.
લંડનઃ યુકે અને ભારત વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતની સૌથી મોટી દ્વિપક્ષીય વેપાર સંધિઓ પૈકીની એક છે. વેપાર કરારની સાથે જ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ તે જ દિવસથી લાગુ થશે. આ કરારથી યુકેમાં અસ્થાયી ધોરણે કામ કરતા અસંખ્ય ભારતીય વ્યાવસાયિકોને બંને દેશોમાં એકસાથે સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રીબ્યુશન ચૂકવવામાંથી મુક્તિ મળશે.
કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) તરીકે ઓળખાતો આ વ્યાપક કરાર યુરોપિયન યુનિયનને અલવિદા કહ્યા પછી બ્રિટનનો સૌથી મોટો દ્વિપક્ષીય આર્થિક કરાર છે. આ ઐતિહાસિક સમજૂતીથી બ્રિટિશ અર્થતંત્રમાં વાર્ષિક 4.8 બિલિયન પાઉન્ડનું રોકાણ આવવા અને લાંબા ગાળે બંને દેશો વચ્ચેના કુલ દ્વિપક્ષીય વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડનો જંગી વધારો થવાની સંભાવના છે.
ભારત અને યુકેએ વર્ષ 2021માં એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ અને ભારત-યુકે રોડમેપ 2030 હેઠળ આ દિશામાં કામ શરૂ કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક સંબંધો મજબૂત કરી દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 100 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. વાટાઘાટોના 14 તબક્કાઓ બાદ મે 2025માં બંને દેશ આ ડીલ પર સહમત થયા હતા અને જુલાઈ 2025માં લંડનમાં આ મુખ્ય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સામાજિક સુરક્ષા સંધિ ફેબ્રુઆરી 2026માં સાઇન થઈ હતી. હવે આ બંને કરારો 15 જુલાઈથી સત્તાવાર રીતે કાર્યરત થશે.
