હિન્દુ મંદિરની જગ્યા મસ્જિદ માટે વેચવાનો નિર્ણય ગેરકાયદેસર નથીઃ પીટરબરો કાઉન્સિલ
પીટરબરો સિટી કાઉન્સિલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે હિન્દુ મંદિર ધરાવતા સંકુલને મુસ્લિમ એસોસિએશનને વેચવાનો અને ત્યાં મસ્જિદ તથા ઈસ્લામિક સેન્ટર બનાવવાનો કાઉન્સિલનો નિર્ણય ગેરકાયદેસર નથી.
લંડનઃ પીટરબરો સિટી કાઉન્સિલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે હિન્દુ મંદિર ધરાવતા સંકુલને મુસ્લિમ એસોસિએશનને વેચવાનો અને ત્યાં મસ્જિદ તથા ઈસ્લામિક સેન્ટર બનાવવાનો કાઉન્સિલનો નિર્ણય ગેરકાયદેસર નથી. કાઉન્સિલ વતી કેથરિન રોલેન્ડ્સે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી હિન્દુ સમુદાય 35 માઈલની ત્રિજ્યામાં આવેલું તેમનું એકમાત્ર મંદિર ગુમાવશે, પરંતુ માત્ર આ એક બાબત ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સ યુકે ઇસ્લામિક મિશનને વેચવાના નિર્ણયને ગેરકાયદેસર બનાવતી નથી અને તે પબ્લિક સેક્ટર ઇક્વાલિટી ડ્યુટીનું ઉલ્લંઘન પણ નથી.
રોલેન્ડ્સે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ સ્થળનો પુનઃવિકાસ ન થાય ત્યાં સુધી હિન્દુ સમુદાયના ભાડૂઆત તરીકેના અધિકારો સુરક્ષિત છે, ત્યારબાદ જ તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. હિન્દુ સમુદાય અમારા માટે મૂલ્યવાન છે અને અમે ઈચ્છીએ છીએ કે તેઓ અહીં જ રહે. પીટરબરોમાં અન્ય ઘણી જગ્યાઓ ઉપલબ્ધ છે તથા કાઉન્સિલે વૈકલ્પિક જગ્યાઓની ઓફર પણ કરી છે.
જસ્ટિસ મોરિસે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો UKIM એ ફંડ એકત્ર કરવાનો લક્ષ્યાંક 2035 સુધીનો રાખ્યો છે, તો કાઉન્સિલે આટલી ઉતાવળમાં આ નિર્ણય કેમ લીધો? તેના જવાબમાં રોલેન્ડ્સે જણાવ્યું કે, તે આવતા અઠવાડિયે પણ થઈ શકે છે. કદાચ તેમની લોટરી પણ લાગી જાય.
