ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના ડો. કલ્પના કારીઆનું સન્માન

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કુલ 72 દેશોએ ભાગ લીધો હતો અને કેન્યાએ 6 કાંસ્ય મેડલ્સ જીતીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
અમદાવાદઃ ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કુલ 72 દેશોએ ભાગ લીધો હતો અને કેન્યાએ 6 કાંસ્ય મેડલ્સ જીતીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
યોગશિક્ષણને અભૂતપૂર્વ યોગદાન અને સઘન માનવતાવાદી કાર્યને બિરદાવવા ડો. કલ્પના કારીઆને વર્લ્ડ યોગાસન ફેડરેશનના પ્રેસિડેન્ટ અને વિશ્વમાં સૌથી સન્માનીય યોગગુરુઓમાં એક સ્વામી રામદેવ બાબા દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં વિશ્વભરના વિદ્યાર્થીઓને લાવવાં ડો. કલ્પના કારીઆને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતા એથલીટ્સ સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી.
ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહમાં સ્વામી રામદેવ બાબાએ ડો. કારીઆના પુસ્તક ‘યોગ ફોર હેલ્થ, વિઝડમ એન્ડ હાર્મની’નું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું. સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ડો. ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાપન કાર્યક્રમમાં આ પુસ્તકને ભારે પ્રશંસા પ્રાપ્ત થઈ હતી જ્યાં અગ્રણી નેતાઓ અને મહાનુબાવોએ વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવાના ડો. કારીઆના પ્રયાસો અને યોગદાનને બિરદાવ્યા હતા. ભારતમાં યુવા બાબતો અને સ્પોર્ટ્સના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ ડો. કારીઆના સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવી હતી.
આ ઉપરાંત, વર્લ્ડ યોગાસન એસોસિયેશન (WYA)ના સેક્રેટરી જનરલ ડો. જયદીપ આર્ય અને WYA ભારતના પ્રેસિડેન્ટ ઉદિત શેઠ દ્વારા કોમનવેલ્થ યોગ એસોસિયેશનમાં ડો. કલ્પના કારીઆને નેતૃત્વની ભૂમિકા પર નિયુક્તિ આપી ગ્લોબલ યોગ કોમ્યુનિટીમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકૃતિ આપી હતી. આ સન્માન વિશ્વભરમાં યોગ, આરોગ્ય, સ્વાસ્થ્ય અને માનવતાવાદી સેવાને ઉત્તેજન આપવાની ડો. કારીઆની અવિરત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
