રૂ. 5 કરોડની ખંડણી માટે કે.પી. સ્વામીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી

સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રહેતા કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 5 કરોડની ખંડણી માગવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. કે.પી. સ્વામીની ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે મહિલા, તેના ડોક્ટર પતિ અને સાળા સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણેયને ઝડપી લીધા હતા.
ભાવનગરઃ સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રહેતા કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 5 કરોડની ખંડણી માગવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. કે.પી. સ્વામીની ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે મહિલા, તેના ડોક્ટર પતિ અને સાળા સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણેયને ઝડપી લીધા હતા.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રહેતા કેશવપ્રકાશ ગુરુ પુરાણી સ્વામિનારાયણ પ્રિયદાસજી (કે.પી. સ્વામી)એ 14 ઓગસ્ટના રોજ ઘોઘારોડ પોલીસ મથકમાં શિવાનીબહેન પ્રવીણ ભાલિયા, તેના પતિ પ્રવીણ ભાલિયા અને પ્રવીણના સાળા હિરેન ખેરાળા સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, શિવાનીબહેન સાથે કોઈપણ પ્રકારના અનૈતિક સંબંધો ન હોવા છતાં ત્રણેયે ભેગા મળી તેમની પાસેથી રૂ. 5 કરોડ પડાવવાના ઈરાદે 22 જુલાઈના રોજ રૂબરૂ મળી પૈસા નહીં આપે તો દેકારો કરી સોસાયટીના લોકોને ભેગા કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી હતી અને રૂ. 2 લાખ પડાવ્યા હતા.
પોલીસ તપાસમાં શિવાનીબહેન ભાલિયા આશરે 14 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષિકા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આરોપી મહિલાએ ફોન કરીને ધમકી આપી
પોલીસમાં થયેલી ફરિયાદ મુજબ 9 ઓગસ્ટના રોજ શિવાનીબહેન મારફતે કે.પી. સ્વામીને ફોન કરાવવામાં આવ્યો હતો. ફોન પર ખોટા અનૈતિક સંબંધોના આક્ષેપો કરી રૂ. 5 કરોડની માગણી કરવામાં આવી હતી. અને જો રકમ ન આપે તો બળાત્કારના કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાની તેમજ ખોટા પુરાવા ઊભા કરી જિંદગી બરબાદ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણેયને ઝડપી તપાસ હાથ ધરી છે.
