ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયનું સન્માન
હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સાંસદો, રાજદ્વારીઓ અને બ્રિટિશ-ભારતીય સમુદાયના અગ્રણીઓ બાપજી તરીકે જાણીતા મારવાડ-જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયના જીવન અને લોકસેવાને બિરદાવવા માટે એકત્રિત થયા હતા.
લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સાંસદો, રાજદ્વારીઓ અને બ્રિટિશ-ભારતીય સમુદાયના અગ્રણીઓ બાપજી તરીકે જાણીતા મારવાડ-જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયના જીવન અને લોકસેવાને બિરદાવવા માટે એકત્રિત થયા હતા.
13 જુલાઈના રોજ લોર્ડ કરણ બિલિમોરિયા, ઈન્ડિયા ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ અને 1928 ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાપજી અને તેમના પત્ની મહારાણી હેમલતા રાજ્યનું ભવ્ય સન્માન કરાયું હતું. ગજસિંહ દ્વિતીય માત્ર ચાર વર્ષની નાની ઉંમરે મારવાડ વંશના વડા બન્યા હતા.
આ પ્રસંગે લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, બાપજીનું જીવન આપણને યાદ અપાવે છે કે સાચું નેતૃત્વ માત્ર વારસા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સેવાનો સંકલ્પ છે. તેમણે ઇતિહાસના ગૌરવને અત્યંત નમ્રતા, ગરિમા અને માનવતા સાથે વહન કર્યો છે, અને એક ભવ્ય વારસાને પોતાની જનતા માટે જીવંત, ઉદાર અને સુસંગત બનાવ્યો છે. આ પ્રસંગે બાપજીઃ ધ કિંગ હુ વુડ બી મેન પુસ્તકનું વિમોચન કરાયું હતું.
