યુકે-ભારત વેપાર કરાર દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક ક્ષણઃ નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારને બંને દેશોના પરસ્પર સંબંધોમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દ્વિપક્ષીય કરારોથી આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે અને બંને દેશોના ઉદ્યોગો, ખેડૂતો, વ્યાવસાયિકો તેમજ કુશળ કામદારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.
લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારને બંને દેશોના પરસ્પર સંબંધોમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દ્વિપક્ષીય કરારોથી આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે અને બંને દેશોના ઉદ્યોગો, ખેડૂતો, વ્યાવસાયિકો તેમજ કુશળ કામદારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોદીએ જણાવ્યું હતું કે, ભારત-યુકે ભાગીદારી માટે આ એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ કરાર ભારતની ટેકનોલોજી, પ્રોફેશનલ સર્વિસિસ, ઇનોવેશન અને કુશળ વ્યાવસાયિકોની અવરજવરને વેગ આપવાની સાથે-સાથે ભારતના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને બ્રિટિશ બજારમાં મજબૂત પ્રવેશ અપાવશે.
ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ અમલીકરણને ભારત-યુકે સંબંધોમાં એક સુવર્ણ અધ્યાય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતના ટેક્સટાઇલ, લેધર, જેમ્સ અને જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, મરીન પ્રોડક્ટ્સ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોને આનો સીધો ફાયદો થશે.
સૌથી ઝડપથી અમલમાં મૂકાયેલો વેપાર કરારઃ ક્રિસ બ્રાયન્ટ
ટ્રેડ સેક્રેટરી ક્રિસ બ્રાયન્ટે જણાવ્યું હતું કે, આ કરાર કોઈપણ આંતરરાષ્ટ્રીય વેપાર સોદા પર હસ્તાક્ષર કરવા અને તેને અમલમાં લાવવા વચ્ચેનો બ્રિટનનો અત્યાર સુધીનો સૌથી ઝડપી પ્રવાસ છે. આ કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. કરાર પર હસ્તાક્ષરથી લઇને તેના અમલીકરણની આ સૌથી ઝડપી પ્રક્રિયા હતી જે બંને પક્ષોની તત્પરતા દર્શાવે છે.
