ઉદ્ધવ નિરાધારઃ 6 સાંસદો શિવસેનામાં જોડાઇ ગયા
મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી)ને કમ્મરતોડ ફટકો પડ્યો છે. પક્ષના નવમાંથી છ સાંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઇ ગયા છે. આ સાથે જ એક સપ્તાહથી ચાલતી અટકળોનો ‘સત્તાવાર’ અંત આવ્યો છે. ઉદ્ધવ જૂથના છ સાંસદ પક્ષ છોડી રહ્યાની વાતો કેટલાય દિવસથી ચાલતી હતી, પરંતુ કોઇ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નહોતું. તમામ છ સાંસદોએ મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી શિંદે સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી)ને કમ્મરતોડ ફટકો પડ્યો છે. પક્ષના નવમાંથી છ સાંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઇ ગયા છે. આ સાથે જ એક સપ્તાહથી ચાલતી અટકળોનો ‘સત્તાવાર’ અંત આવ્યો છે. ઉદ્ધવ જૂથના છ સાંસદ પક્ષ છોડી રહ્યાની વાતો કેટલાય દિવસથી ચાલતી હતી, પરંતુ કોઇ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નહોતું. તમામ છ સાંસદોએ મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી શિંદે સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
શિંદેએ કહ્યું હતું કે ‘ઓપરેશન ટાઇગર’ પૂરું થયું છે, અમે કોઇ કામ અધૂરું છોડતાં નથી. ઉલ્લેખનીય છે કે આ સાથે જ શિંદે જૂથના સાંસદોની સંખ્યા સાતથી વધીને 13 થઇ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે સાથે હવે માત્ર ત્રણ સાંસદો રહ્યા છે. ઉદ્ધવ શિવસેનાના વડા રહ્યા તે દરમિયાન પાર્ટીમાં ચાર વર્ષમાં આ બીજો મોટો બળવો છે.
સોમવારે યોજાયેલા સમારંભમાં નાયબ મુખ્યમંત્રી શિંદેએ તમામને પક્ષનું સભ્યપદ અપાવ્યું હતું. પક્ષના નેતા પ્રતાપ સરનાઇકે દાવો કર્યો હતો કે આ સાંસદોએ લોકસભા સ્પીકરને એક પત્ર પણ સુપરત કર્યો છે. બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને વળગી રહેલા સાંસદો શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે.
ક્યા સાંસદો શિંદે સાથે જોડાયા?
ઉદ્ધવનો સાથ છોડીને શિંદે સાથે જોડાયેલા છ સાંસદોમાં યવતમાલ-વાશિમના સંજય દેશમુખ, હિંગોલીના નાગેશ પાટીલ અષ્ટિકર, પરભણીના સંજય જાધવ, શિરડીના ભાઉસાહેબ વાકચૌરે, મુંબઈ ઉત્તર-પૂર્વના સંજય દિના પાટીલ અને ધારાવીના ઓમપ્રકાશ રાજે નિમ્બાલકરનો સમાવેશ થાય છે.
સરનાઇકે જણાવ્યું હતું કે, ‘ઓપરેશન ટાઇગર’ હેઠળ શિવસૈનિકો અને જનપ્રતિનિધિઓ સતત શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે સંજય રાઉતનો આભાર માનીએ છીએ, કારણ કે પહેલા ધારાસભ્યો અમારી પાર્ટીમાં જોડાયા હતા, અને હવે સાંસદો પણ જોડાઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું, ‘વર્ષ 2022માં અમે પાર્ટી અને ધનુષ-બાણ બચાવવા માટે વિદ્રોહ કર્યો હતો, ત્યારે 40 ધારાસભ્યો હતા અને હવે અમે સિક્સર ફટકારી છે.’ તેમણે કહ્યું, ‘અમારી લડાઈ બાળાસાહેબના વિચારોને બચાવવા માટે છે, તેથી આજે આ 6 સાંસદો બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેનામાં જોડાયા છે.’
ધારાસભ્યો પણ ઉદ્ધવને છોડવાના મૂડમાં?
બીજી તરફ, હવે એવી ચર્ચા શરૂ થઇ છે કે ધારાસભ્યોનું એક જૂથ પણ ઉદ્ધવનો સાથ છોડીને શિંદે સાથે જોડાવાના છે. સોમવારે ઉદ્ધવે વિધાનસભામાં ચોમાસુ સત્ર માટે રણનીતિ પર ચર્ચા કરવા માટે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. તેમાં ત્રણ ધારાસભ્યો અને એક એમએલસી પહોંચ્યા ન હતા. તેમાંથી એક ધારાસભ્ય સુનીલ શિંદેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું કે તેઓ કેટલાક સમયથી તેમના ગામ પેઠાંભે (તાલુકા ચિપલૂણ)માં અંગત કામને કારણે હાજર હતા. આ જ કારણોસર ચોમાસુ સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી અને બેઠકોમાં ભાગ લઈ શક્યા ન હતા. મારી ગેરહાજરી અંગે મીડિયામાં જે ચર્ચાઓ ચાલી રહી છે, તેનો કોઈ આધાર નથી.
