ભારત બ્રિટન પાસેથી નવ નિવૃત્ત જગુઆર ફાઇટર જેટ ખરીદશે
ભારતીય વાયુસેનાએ યુકે પાસેથી નવ નિવૃત્ત જગુઆર ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા વચ્ચે આ ઊંડી પ્રહાર ક્ષમતા ધરાવતા વિમાનોના કાફલાને કાર્યરત રાખવા માટે આ નિવૃત્ત વિમાનોનો ઉપયોગ સ્પેરપાર્ટ્સ અને પુનઃઉપયોગી સબ-એસેમ્બલીના સ્ત્રોત તરીકે કરવામાં આવશે.
લંડનઃ ભારતીય વાયુસેનાએ યુકે પાસેથી નવ નિવૃત્ત જગુઆર ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા વચ્ચે આ ઊંડી પ્રહાર ક્ષમતા ધરાવતા વિમાનોના કાફલાને કાર્યરત રાખવા માટે આ નિવૃત્ત વિમાનોનો ઉપયોગ સ્પેરપાર્ટ્સ અને પુનઃઉપયોગી સબ-એસેમ્બલીના સ્ત્રોત તરીકે કરવામાં આવશે. હાલમાં ભારતીય વાયુસેના મંજૂર કરાયેલી 42 સ્ક્વોડ્રનની સંખ્યા સામે માત્ર 29 સ્ક્વોડ્રન સાથે કામગીરી ચલાવી રહી છે જેમાંથી છ સ્ક્વોડ્રન આ એટેક એરક્રાફ્ટની છે.
આ પહેલા પણ ભારતીય વાયુસેના આવા પગલાં ભરી ચૂકી છે. અગાઉ પણ ભારતે ફ્રાન્સ, ઓમાન અને યુકે પાસેથી નિવૃત્ત જગુઆર વિમાનો મેળવ્યા હતા. નોંધનીય છે કે, 1980ના દાયકામાં પ્રથમ વખત સામેલ કરાયેલા આ ફાઇટર જેટને ઓપરેટ કરનારી ભારતીય વાયુસેના હાલમાં વિશ્વની એકમાત્ર વાયુસેના છે.
આ આયાતી વિમાનોમાંથી લેન્ડિંગ ગિયર, હાઇડ્રોલિક્સ, એવિઓનિક્સ અને રોલ્સ-રોયસ અદૂર એન્જિન જેવા મહત્વપૂર્ણ ભાગો કાઢીને ઉપયોગમાં લેવામાં આવે છે જેથી વાયુસેનાને સ્પેરપાર્ટ્સની તંગી દૂર કરવામાં મદદ મળી રહે.
