સાદા બ્લડ ટેસ્ટથી પાર્કિન્સન્સ ડિસીઝના નિદાનમાં મદદ મળશે

ન્યુરોલોજી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર સાદા બ્લડ ટેસ્ટથી ડોક્ટરોને હવે પાર્કિન્સન‘સ ડિસીઝ અથવા કંપવાત રોગના ઝડપી અને સરળ નિદાનમાં મદદ મળશે. અત્યારે આ રોગના લક્ષણો ઓળખવા દર્દીઓએ સ્પાઈનલ ફ્લુઈડ ટેસ્ટ કરાવવો પડે છે. આ રોગની કોઈ સારવાર પ્રાપ્ય નથી અને બ્રિટનમાં ૧૨૭,૦૦૦ લોકો આ અસાધ્ય રોગથી પીડાય છે.
લંડનઃ ન્યુરોલોજી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર સાદા બ્લડ ટેસ્ટથી ડોક્ટરોને હવે પાર્કિન્સન‘સ ડિસીઝ અથવા કંપવાત રોગના ઝડપી અને સરળ નિદાનમાં મદદ મળશે. અત્યારે આ રોગના લક્ષણો ઓળખવા દર્દીઓએ સ્પાઈનલ ફ્લુઈડ ટેસ્ટ કરાવવો પડે છે. આ રોગની કોઈ સારવાર પ્રાપ્ય નથી અને બ્રિટનમાં ૧૨૭,૦૦૦ લોકો આ અસાધ્ય રોગથી પીડાય છે.
સ્વીડનની લુન્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ લોહીમાં ચોક્કસ પ્રોટીનની શોધ કરી છે, જે આ રોગનું સ્પષ્ટ માર્કર છે. કંપવાત અથવા પાર્કિન્સન‘સ ડિસીઝમાં શરીરમાં ધ્રૂજારીઓ પેદા થાય છે, હલનચલન ધીમું પડે છે અને સ્નાયુઓ જકડાઈ જાય છે. આ રોગ અસાધ્ય છે અને તેને આગળ વધતો અટકાવવાનો કોઈ માર્ગ પણ નથી. જોકે, રોગના લક્ષણો દેખા દે તેના ઘણા સમય અગાઉથી જ તેના કારણે ચેતાકોષોમાં નુકસાન વધતું જાય છે. રોગ આગળ વઘતો અટકાવી ન શકાય તો પણ રક્તપરીક્ષણથી વહેલી જાણ થાય તો લક્ષણો ધીમા પાડવામાં ડોક્ટરોને મદદ મળી શકે છે.
મુખ્ય સંશોધક ડો. ઓસ્કાર હેન્સનની આગેવાનીમાં સંશોધક ટીમે બ્રિટન અને સ્વીડનમાં તંદુરસ્ત અને છ વર્ષથી પાર્કિન્સન‘સ ડિસીઝથી પીડાતા ૫૦૪ લોકોનું રક્ત પરીક્ષણ કર્યું હતું. વ્યક્તિને પાર્કિન્સન‘સ અથવા અન્ય ન્યુરોલોજિકલ રોગ છે તેના નિદાનમાં બ્લડ ટેસ્ટ વર્તમાન સ્પાઈનલ ફ્લુઈડ ટેસ્ટ જેટલો જ ચોક્કસ જણાયો હતો.

