અમદાવાદમાં IPLના સમાપન સમારંભમાં રણવીર અને રહેમાન ધૂમ મચાવશે
અમદાવાદ શહેરના જ નહીં, દેશના શાનદાર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા આઇપીએલ-15ના સમાપન સમારંભમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ.આર. રહેમાન ધૂમ મચાવશે.
અમદાવાદ: શહેરના જ નહીં, દેશના શાનદાર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા આઇપીએલ-15ના સમાપન સમારંભમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ.આર. રહેમાન ધૂમ મચાવશે. આઇપીએલની ફાઈનલ 29 મેના રોજ અમદાવાદમાં યોજાવાની છે. કોરોના મહામારીના કારણે ત્રણ વર્ષથી આઇપીએલ ફાઇનલ વેળા રંગારંગ યોજાયા નથી, પણ આ વખતે આઇપીએલનો સમાપન સમારંભ યાદગાર બની રહેશે.
રણવીરની સાથે બોલીવૂડના અન્ય કેટલાક સ્ટાર્સ પણ જોડાશે તેમ મનાય છે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે, આઇપીએલના સમાપન સમારંભમાં ભારતીય ક્રિકેટની વિકાસયાત્રા દર્શાવતો એક શો પણ આયોજીત કરવામાં આવશે. ભારત હાલ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત આ ખાસ શોનું આયોજન કરવામાં આવશે.
આઇપીએલની પ્રથમ ક્વોલિફાયર 24 મેના રોજ અને એલિમિનેટર 25 મેના રોજ રમાશે. આ મેચો કોલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. 27 મેના રોજ અમદાવાદમાં બીજી ક્વોલિફાયર રમાશે. જ્યારે 29 મે ના રોજ ફાઈનલનું આયોજન કરાયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન્સને પણ આમંત્રણ પાઠવાશે.
