આઈપીએલ ૧૫ એપ્રિલ સુધી સ્થગિતઃ ભારત - સાઉથ આફ્રિકાની સીરિઝ પડતી મુકાઈ

ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ)એ દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ જોતાં ક્રિકેટરો, ઓફિસિઅલ્સ અને ચાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આઈપીએલ ટ્વેન્ટી-૨૦ને ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. આઈપીએલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ૨૯મી માર્ચથી થવાના હતો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ)એ દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ જોતાં ક્રિકેટરો, ઓફિસિઅલ્સ અને ચાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આઈપીએલ ટ્વેન્ટી-૨૦ને ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. આઈપીએલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ૨૯મી માર્ચથી થવાના હતો.
આ ઉપરાંત ભારત અને સાઉથ આફ્રિકાની વન-ડે શ્રેણીને પણ હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આમ સાઉથ આફ્રિકાની ટીમ રમ્યા વિના જ સ્વદેશ પરત ફરશે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ હાલની ત્રણ વન-ડે શ્રેણીનું હવે પછી નવેસરથી આયોજન કરવાના નિર્ણય સાથે હાલના તબક્કે આ શ્રેણી ન રમાડવા માટે સહમત થયા છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયું છે.
અગાઉ હિમાચલ પ્રદેશનાં ધરમશાલામાં ૧૨મી માર્ચે રમાનારી ભારત અને સાઉથ આફ્રિકાની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ વરસાદે ધોઈ નાંખી હતી. આ પછી બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે, ભારત - સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી ૧૫મી માર્ચે રવિવારે લખનઉમાં અને ૧૮મી માર્ચે બુધવારે કોલકાતામાં રમાનારી વન-ડે બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ રમાડાશે. જોકે હવે આ મેચો પણ રદ કરાઇ છે.
