આકાશ દીપે 10 વિકેટ કેન્સર સામે ઝઝૂમતી બહેનને સમર્પિત કરી
ઇંગ્લેન્ડ સામે ભારતના ઐતિહાસિક વિજયમાં મેચિવનિંગ પ્રદર્શન કરનાર પેસ બોલર આકાશદીપ પોતાની સફળતા પોતાની કેન્સર પીડિત બહેનને સમર્પિત કરીને ભાવુક બન્યો હતો. આકાશે જણાવ્યું હતું કે હું જ્યારે પણ બોલ હાથમાં લેતો હતો ત્યારે મારી બહેનનો વિચાર મને હંમેશાં આવતો હતો. મેં આ બાબતે કોઇની સાથે વાત કરી નથી પરંતુ બે મહિના પહેલાં મારી બહેનને થર્ડ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.
બર્મિંગહામ: ઇંગ્લેન્ડ સામે ભારતના ઐતિહાસિક વિજયમાં મેચિવનિંગ પ્રદર્શન કરનાર પેસ બોલર આકાશદીપ પોતાની સફળતા પોતાની કેન્સર પીડિત બહેનને સમર્પિત કરીને ભાવુક બન્યો હતો. આકાશે જણાવ્યું હતું કે હું જ્યારે પણ બોલ હાથમાં લેતો હતો ત્યારે મારી બહેનનો વિચાર મને હંમેશાં આવતો હતો. મેં આ બાબતે કોઇની સાથે વાત કરી નથી પરંતુ બે મહિના પહેલાં મારી બહેનને થર્ડ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે મારા પ્રદર્શનથી ખુશ થઇ હશે અને તેના ચહેરા ઉપર સ્મિત આવ્યું હશે. મારું આ પ્રદર્શન મારી બહેનને સમર્પિત છે અને તેને હું ખાતરી આપવા માગું છું કે બહેન, અમે તમામ તારી સાથે જ છીએ. ત્રીજી ટેસ્ટના સંદર્ભમાં આકાશે જણાવ્યું હતું કે હજુ સુધી આગામી મેચ અંગે વિચાર્યું નથી, હાલમાં તો મેચ જીત્યાનો આનંદ માણવો છે. મેં લોર્ડ્ઝ ટેસ્ટની રણનીતિ અંગે વિચાર્યું નથી પરંતુ ત્રીજી ટેસ્ટનો ગેમપ્લાન અલગ રહેશે નહીં.
ટેસ્ટમાં પ્રથમ વખત 5 વિકેટની સિદ્ધિ
એજબેસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં આકાશદીપે ઇંગ્લેન્ડને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું હતું. તેણે પહેલી ઇનિંગ્સમાં 4 અને બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી હતી. આકાશદીપની કારકિર્દીની આ પહેલી પાંચ વિકેટ છે. બીજી ઇનિંગમાં બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક અને જેમી સ્મિથ અને બ્રાયડન કાર્સને આઉટ કર્યા હતા. જેના આધારે ભારતે ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં હરાવ્યું હતું. પહેલી ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાઝે પણ 6 વિકેટ લીધી હતી. જેના કારણે ભારતની સ્થિતિ વધુ મજબૂત બની હતી.
