શશાંક મનોહર બીજી વખત આઇસીસીના ચેરમેન પદે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ફરીથી સ્વતંત્ર ચેરમેન બનાવાયા છે.
દુબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ફરીથી સ્વતંત્ર ચેરમેન બનાવાયા છે. તેઓને બીજી મુદત માટે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે. મનોહરને ૨૦૧૬માં પ્રથમ વાર આઈસીસીના સ્વતંત્ર ચેરમેન નિયુક્ત કરાયા હતા અને હવે ફરીથી તેમની પસંદગી કરતાં તેઓ આગામી બે વર્ષ સુધી આ પદ પર બની રહેશે. ચૂંટણી પ્રક્રિયા અનુસાર આઈસીસીના ડિરેક્ટર્સમાંથી પ્રત્યેકને એક ઉમેદવાર નોમિનેટ કરવાની મંજૂરી હોય છે. ઉમેદવાર પૂર્વ આઈસીસી ડિરેક્ટર હોવા જરૂરી છે. જે નામને બે અથવા તેથી વધુ ડિરેક્ટર્સનું સમર્થન મળે છે તેમને ચૂંટણી લડવા માટે યોગ્ય માનવામાં આવે છે. જોકે શશાંક મનોહરના મામલામાં તેઓ નામાંકિત થયેલા એકમાત્ર ઉમેદવાર હતા. આથી ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી સંભાળી રહેલા ઓડિટ કમિટીના ચેરમેન એડવર્ડ ક્વિનલેને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મનોહરની વરણીની જાહેરાત કરી હતી.
