હમ સાથ સાથ હૈઃ મજબૂત સંગાથનો વિશ્વાસ

અમદાવાદનું વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 3 જૂન 2025ની રાતનો સમય. સવા લાખ પ્રેક્ષકોના દિલ થંભી જાય એવી રોલર કોસ્ટરરૂપી ક્રિકેટમેચ દર્શકો માણી રહ્યા છે. IPLની ફાઇનલ છે, પંજાબ કિંગ્સ અને આરસીબીનો મુકાબલો છે. આખરે છ રને RCBમેચ જીતે છે, એ સમયે જીતના દ્રશ્યો મેદાન પર જોવા મળે છે, પરંતુ છેલ્લી ઓવરના તમામ બોલ સમયે કેમેરામેન RCB ના ખેલાડી વિરાટ કોહલીના ચહેરાના હાવ-ભાવ કેમેરામાં ઝીલ્યા કરે છે, જેમ જેમ જીત નજીક આવતી જાય છે તેમ તેમજ વિરાટની ધારદાર આંખોમાં ભીનાશ ભળતી જાય છે અને જીત પછી એ પોતાના સ્થાને જ અત્યંત ભાવુક થઈને માથું ઝુકાવી દે છે, રડી પડે છે. સાથીઓ આવે છે, વિરાટને ઊભો કરે છે, જીતનો આનંદ પરસ્પર ગળે મળીને મનાવે છે.
અમદાવાદનું વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 3 જૂન 2025ની રાતનો સમય. સવા લાખ પ્રેક્ષકોના દિલ થંભી જાય એવી રોલર કોસ્ટરરૂપી ક્રિકેટમેચ દર્શકો માણી રહ્યા છે. IPLની ફાઇનલ છે, પંજાબ કિંગ્સ અને આરસીબીનો મુકાબલો છે. આખરે છ રને RCBમેચ જીતે છે, એ સમયે જીતના દ્રશ્યો મેદાન પર જોવા મળે છે, પરંતુ છેલ્લી ઓવરના તમામ બોલ સમયે કેમેરામેન RCB ના ખેલાડી વિરાટ કોહલીના ચહેરાના હાવ-ભાવ કેમેરામાં ઝીલ્યા કરે છે, જેમ જેમ જીત નજીક આવતી જાય છે તેમ તેમજ વિરાટની ધારદાર આંખોમાં ભીનાશ ભળતી જાય છે અને જીત પછી એ પોતાના સ્થાને જ અત્યંત ભાવુક થઈને માથું ઝુકાવી દે છે, રડી પડે છે. સાથીઓ આવે છે, વિરાટને ઊભો કરે છે, જીતનો આનંદ પરસ્પર ગળે મળીને મનાવે છે. વિરાટ એની પત્ની અને પ્રસિદ્ધ અભિનેત્રી અનુષ્કાને ગળે મળે છે. લાંબો સમય RCB સાથે રહેલા ક્રિકેટર એબી ડિવિલીયર્સને ભેટે છે, ક્રિસ ગેઈલને અને રવિ શાસ્ત્રીને ઉમળકાથી વળગી પડે છે. એ પછી પોતાના નિવેદનમાં કહે છે આ સમગ્ર ટીમની, મેનેજમેન્ટની, સપોર્ટ સ્ટાફની, ક્રિકેટરોના ફેમિલીની અને ફેન્સની જીત છે. અમે 18 વર્ષ આ જીત માટે પ્રતિક્ષા કરી, મારી જવાની, મારો પ્રાઈમ ટાઈમ મેં RCBને આપ્યા. આજે હું નિરાંત સૂઈ શકીશ. વિરાટે યુવા ક્રિકેટરોને સંદેશ આપતાં એ પણ ઉમેર્યું કે ‘ટેસ્ટ ક્રિકેટને માન આપો, ટેસ્ટ ક્રિકેટ રમશો તો જ સાચા હીરો બનશો.’
એક વ્યક્તિ એક ટીમ સાથે સતત 18 વર્ષ જોડાયેલી રહે, હારજીતને અનુભવતી રહે, અભિનંદન અને ટીકાઓ સહન કરતી રહે, સરખામણી અને વિવેચનનો ભોગ બનતી રહે પરંતુ પોતાની ટીમ પ્રત્યને લગાવ કે સમર્પણ ન છોડે. આ ઘટના આજના સમયની વિરલ ઘટના છે. સ્પર્ધાત્મક જગતમાં જ્યાં પળે પળે લોભ – લાલચ – તક – અવસર આવતા હોય છે ત્યારે સ્થિરતા સાથે એક ટીમને વળગી રહેવું એ જ સિદ્ધિ છે.
જાણીતા લેખક અને વક્તા, મારા દોસ્ત જય વસાવડાએ સુચક વાત લખી છે, ‘વિરાટ અને આરસીબી તો જનમોજનમના બંધનની જેમ અતુટ ગાંઠે જોડાયેલા રહ્યા. તમે થોડી લાલચ જતી કરીને, થોડો ભોગ આપીને પણ વફાદારીથી ક્યાંક કમિટેડ રહો તો એની કદર પણ થાય છે, ને એક સલામતીની નિરાંત પણ રહે છે. પરસ્પરનો ભરોસો બેસી જાય ને નબળી પળે, પરાજયની ક્ષણોમાં આ ‘દુનિયા ભલે જે બોલે, આ સાથ નહીં છોડે’ વાળો વિશ્વાસ એક પાવર જનરેટર બનતો હોય છે.
મશહુર બદાયુંનીનો એક શેર છેઃ
અબ હવાંએ હી કરેંગી રોશની કા ફૈસલા,
જીસ દિયે મેં જાન હોગી, વો દિયા રહ જાયેગા.
કારકિર્દી કોઈ પણ ક્ષેત્રની હોય, એમાં આગળ વધવું જરૂરી છે, પરંતુ આગળ વધવા, સફળતા મેળવવા કેટલાક મૂલ્યો પણ છે, જે સચવાય તો એ કારકિર્દીમાં કાંઈક વિશેષ રોનક આવે છે. એમાંનું એક તે એક જ સંસ્થા કે વ્યક્તિ સાથેની પ્રામાણિકતાપૂર્વકની સાથે રહેવાની, સમર્પિત રહેવાની ભાવના.
હવે હું ને તમે આપણી આસપાસ નજર માંડીએ, બ્રિટન હોય કે ઈન્ડિયા કે પછી વિશ્વમાં ગમે ત્યાં, આવી રીતે એક જ નામ સાથે, સંસ્થા કે વ્યક્તિ સાથે વફાદારીપૂર્વક, પ્રસન્નતાપૂર્વક સંબંધો નિભાવનારા ઘણા લોકો મળી આવશે. એમને જોઈતા માન-સન્માન, પૈસા કે અન્ય સુવિધાઓ એક જ સ્થાનેથી મળી જતા હોય તો બીજા સ્થાને જવામાં એમને જરાય રસ હોતો નથી કારણ કે એ માને છે કે અહીં જ સુખ પણ છે અને સંતોષ પણ છે. જેઓ કંપની - સંસ્થા બદલે છે એમની પાસે એમના યોગ્ય કારણો પણ હશે જ, તેઓની ટીકા ક્યારેય ના હોઈ શકે, એ એમની નિજતા છે. એમના વિચારો છે. પરંતુ જ્યારે વિરાટ કોહલી જેવું વિરાટ સમર્પણ કે સાથે રહેવાની ભાવના જોવા મળે ત્યારે આનંદ તો થાય જ, મારા ને તમારા 20-30 કે 40-50 વર્ષના સંબંધો જો આજે પણ ટક્યા હોય તો એને માટે પણ ગૌરવ અનુભવવા જેવું છે કારણ કે અહીં પણ હમ સાથ સાથ હૈના અજવાળાં રેલાય છે.
