કેનેડામાં સંતરામ સત્સંગમાં અગ્રણીઃ અશોકભાઈ અમીન
માણસ જાય ત્યાં એના પરસેવાની ગંધ અને પડછાયો સાથે જાય છે. આવી જ રીતે માનવીની સાથે સાથે અજ્ઞાત રીતે એના સંસ્કાર અને માન્યતા જાય છે. આ સંસ્કાર અને માન્યતાનું બીજ વખત આવ્યે નવી પરિસ્થિતિમાં પણ ફૂલેફાલે છે. આવું જ થયું નડિયાદમાં વસેલા વીરસદના અશોકભાઈ અમીનને.
માણસ જાય ત્યાં એના પરસેવાની ગંધ અને પડછાયો સાથે જાય છે. આવી જ રીતે માનવીની સાથે સાથે અજ્ઞાત રીતે એના સંસ્કાર અને માન્યતા જાય છે. આ સંસ્કાર અને માન્યતાનું બીજ વખત આવ્યે નવી પરિસ્થિતિમાં પણ ફૂલેફાલે છે. આવું જ થયું નડિયાદમાં વસેલા વીરસદના અશોકભાઈ અમીનને.
નડિયાદમાં અભ્યાસકાળે અશોકભાઈને છાયાબહેન સાથે પરિચય થયો. પરિચય પ્રેમમાં પલટાયો. છાયાબહેનને ભાઈ-ભાભીને કારણે કેનેડા જવાનું થયું. છાયાબહેનના ફિયાન્સ તરીકે ૧૯૮૨માં અશોકભાઈ કેનેડા પહોંચ્યા. કેનેડામાં જ પરણ્યા અને ૧૯૮૨થી ૨૦૦૫ સુધી કેનેડામાં પીસીબીની ફેક્ટરીમાં કામ કર્યું. પત્ની છાયાબહેને પણ આવું જ કર્યું.
આ દંપતિ રેસ્ટોરાંમાં હતાં ત્યારે દરેક પૂનમે સંતરામના પાઠ કરતાં. સંતરામની ભક્તિના સંસ્કાર બંનેમાં નડિયાદના ઉછેર અને અભ્યાસને કારણે આવેલાં. કેનેડામાં એમની સંતરામ ભક્તિ ચાલુ રહી. જ્યારે જ્યારે કેનેડાથી નડિયાદ જાય ત્યારે સંતરામ મહારાજશ્રીના દર્શન કરવાનું અને સંતરામની દેરીએ જવાનું ન ચૂકે. એમનાં સંતાનો પુત્રી પૂજા અને પુત્ર રવિમાં આ જ સંસ્કાર આવ્યા. સંતરામ મંદિરના સંસ્કારની સુવાસ અહીં ફોરતી રહી છે. આને કારણે સમગ્ર પરિવાર દારૂ, માંસ, વ્યસન અને કુસંગથી બચ્યો છે. ખોટા ખર્ચાથી બચ્યો અને સતત ૨૩ વર્ષના પુરુષાર્થ અને કામ પછી ૨૦૦૬માં ટોરોન્ટો છોડીને ૧૫૦ માઈલ દૂર વુડસ્ટોક ટાઉનમાં આવ્યાં. અહીં પેટ્રો કેનેડા કંપનીનું ગેસ સ્ટેશન ખરીદ્યું. ગેસ સ્ટેશનમાં કન્વીનિયન્સ સ્ટોર છે જેમાં ભાતભાતની ચીજવસ્તુઓ વેચાય છે. જેમાં કોફીશોપ છે અને કારવોશની સગવડ છે.
પરિવારની ત્રણ વ્યક્તિ આમાં કામ કરે છે. પતિ-પત્ની ગેસ સ્ટેશન અને સ્ટોરનું ધ્યાન રાખે તો દીકરી પૂજા ચાઈલ્ડ કેરનો કોર્ષ કર્યા પછી કોફી શોપની મેનેજર છે. પુત્ર રવિ બેંકમાં કામ કરે છે.
આવો પરિચય લખવાનું કારણ એટલું જ છે કે સંસ્કાર હોય, વ્યસનમુક્તિ હોય અને ભક્તિ હોય તો હાથેપગે વિદેશ આવેલી વ્યક્તિઓ સ્વપુરુષાર્થે શૂન્યમાંથી સર્જન કરે છે અને ઉપાર્જન એળે જવા દેતા નથી.
વુડસ્ટોકમાં અશોકભાઈ દર ત્રણ માસે સંતરામ સત્સંગ ગોઠવે છે. આવનાર ભક્તો પોતાના ઘરેથી ઈચ્છા હોય તો કંઈક ચીજવસ્તુઓ લાવે છે. ભેગા મળીને બનાવે છે. ભજન કરે છે. સત્સંગની કથા થાય છે.
સંતરામ સત્સંગની વિશિષ્ટતા એ છે કે અહીં ક્યાંય ફંડફાળો થતો નથી. કોઈનેય કંઈ આપવાની અપીલ થતી નથી. કોઈ પ્રકારનું વેચાણ થતું નથી. માળા, પુસ્તક, ફોટા કંઈ જ વેચાય નહીં. ઈચ્છા હોય તો પોતે લાવે. પોતે વિતરણ કરે. પૈસાનો વ્યવહાર ક્યારેય સત્સંગના સ્થળે ના થાય. દરેક કાર્યક્રમ વખતે ફોનથી સંતરામ મહારાજના આશીર્વાદ લેવામાં આવે છે. અશોકભાઈ અને છાયાબહેને કેનેડાના વુડસ્ટોકમાં નડિયાદના સંતરામનું વાતવરણ સર્જીને ગુજરાતીઓમાં ભાઈચારો વધાર્યો છે.
