જીતનો પ્રપંચ છોડી...
સર્જક મહેન્દ્ર જોશી વ્યવસાયે શિક્ષક. રાજકોટમાં વસવાટ. તેમની કવિતા એટલે પહેલાં અડે ને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડે. કાવ્યસંગ્રહ ‘તંદ્રા’.
મહેન્દ્ર જોશી
(જન્મઃ 28-09-1951)
સર્જક મહેન્દ્ર જોશી વ્યવસાયે શિક્ષક. રાજકોટમાં વસવાટ. તેમની કવિતા એટલે પહેલાં અડે ને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડે. કાવ્યસંગ્રહ ‘તંદ્રા’.
•••
જીતનો પ્રપંચ છોડી...
જીતનો પ્રપંચ છોડી હારમાંથી બહાર આવ;
તું પ્રથમ તલવાર જેવી ધારમાંથી બહાર આવ.
મૂઢ મતિ, તું ક્યાં લડે છે કોઈ સામે અહીં હજી,
યુદ્ધ કર કાં યુદ્ધના પડકારમાંથી બહાર આવ.
એક પળને છે હજારો જીભ જાણે રાક્ષસી,
ભય બધો ખંખેર ને ફુત્કારમાંથી બહાર આવ.
કોઈ પડછાયો પડ્યો ને મોરપીંછું થઈ ગયો,
વન ભૂલી જા, વાદળી અવતારમાંથી બહાર આવ.
સૌમ્ય શીતળ આ હવામાં ક્યાંક પંખીઓ ઊડે,
આ સખત તારાં ભીડેલાં દ્વારમાંથી બહાર આવ.
ઊંચકી લે સ્કંધ પર બાળક સમો તડકો તરલ,
ને ઉંમરના સૌ જરઠ અધિકારમાંથી બહાર આવ.
તું કમળ મધ્યે રહીને ભેદ ક્યાં પામી શક્યો?
આ મુલાયમ રેશમી અંધારમાંથી બહાર આવ.
ક્યાં રહ્યો છે લાકડીમાં કોઈ જાદુ પણ હવે,
દેવદૂતોના એ કારાગારમાંથી બહાર આવ.
•••
