જીવન જીવવાની કળા શીખવાડે છે સાબરમતીના સંત
ધર્મનો અર્થ અને જીવન જીવવાની કળા શીખવી હોય તો મહાત્મા ગાંધી પાસેથી શીખવી જોઈએ. સાબરમતીના આ સંતે તલવાર અને ઢાલ વગર દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ તો અપાવી પણ સાથે સાથે લોકોને જીવન જીવવાની કળા પણ શીખવી. એક રાજનેતા હોવા છતાં ગાંધીજી સાચા અર્થમાં સંત હતા.
ધર્મનો અર્થ અને જીવન જીવવાની કળા શીખવી હોય તો મહાત્મા ગાંધી પાસેથી શીખવી જોઈએ. સાબરમતીના આ સંતે તલવાર અને ઢાલ વગર દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ તો અપાવી પણ સાથે સાથે લોકોને જીવન જીવવાની કળા પણ શીખવી. એક રાજનેતા હોવા છતાં ગાંધીજી સાચા અર્થમાં સંત હતા. ગાંધીજીએ રાજનીતિને ધર્મ સાથે જોડી એના કરતા પણ યોગ્ય એ કહેવાય કે તેમણે ધર્મને અનુરૂપ રાજનીતિનું આચરણ કર્યું. આ કારણોસર જ તેમને નેતા ન કહેતા રાજનેતા કહેવામાં આવે છે. ગાંધીજીએ ધર્મને રાજનીતિથી મહાન બનાવ્યો અને ધર્મના વ્યવહારિક ઉપયોગની સમજણ આપી.
ગાંધીજી અને ધર્મ
મહાત્મા ગાંધી ધાર્મિક વ્યક્તિ હતાં. તેમની રાજનીતિ ધર્મના સિદ્ધાંતોને આધારે ચાલતી હતી. અગત્યની વાત એ છે કે એક બાજુ તેઓ અંગ્રેજ સરકારને કાગળ લખી શકતા હતા તો બીજી બાજુ ગીતાનું પણ નિયમિત પારાયણ કરતા હતા. ગીતાનું અધ્યયન કરતા કરતાં રાજનીતિ રમવાની તેમની આ રીત વિલક્ષણ હતી. તેમની આ ખાસિયતને કારણે જ તેઓ મહાત્મા બન્યા. ગાંધીનો ધર્મ સત્ય, અહિંસા, સદાચરણ, આચરણ તેમજ વાણીમાં સમાનતા તેમજ છેવાડાની વ્યક્તિની દરકાર હતો. તેમણે જીવનભર આ સિદ્ધાંતોનું આચરણ કર્યું અને લક્ષ્ય સુધી પહોંચ્યા.
ગાંધીજી અને સત્ય
જો તમારે લક્ષ્ય સુધી પહોંચવું જ હોય તો સત્યને અપનાવવું પડશે. સત્ય માત્ર બાહ્ય ન હોતા આંતરિક પણ હોય તે અત્યંત આવશ્યક છે. આપણે જ્યારે સત્યનું આચરણ કરીએ છીએ કે સત્યને જીવનમાં અપનાવીએ છીએ ત્યારે આપણા રસ્તાની મોટા ભાગની તકલીફો દૂર થઈ જાય છે. સત્યનો માર્ગ વ્યક્તિને સકારાત્મક્તા તરફ દોરવણી આપે છે, સત્યની શક્તિ જીવનને ઉર્જાથી ભરી દે છે. ગાંધીજીના જીવનમાં ઘણી તકલીફો આવી, પણ તેમણે હંમેશાં સત્યને સાથ આપ્યો અને એટલે જ સત્ય તેમને લક્ષ્ય તરફ દોરી ગયું.
ગાંધીજી અને અહિંસા
ગાંધીજીએ જ્યારે અહિંસાના સિદ્ધાંતની તરફેણ કરી ત્યારે સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાયેલા એક વર્ગે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ વર્ગ ઉગ્રવાદી વિચાર અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતી વ્યક્તિઓનો બનેલો હતો. સમુદાય માનતો હતો કે જો અંગ્રેજ સરકારને હટાવવી હશે તો સશસ્ત્ર ક્રાંતિ કરવી જ પડશે. ગાંધીજી ક્યારેય આ વિચારધારા સાથે સંમત થયા નહોતા. તેમના પર કાયર હોવાનો આરોપ પણ લાગ્યો પરંતુ તેમણે આ આરોપ સહન કરીને પણ પોતાની વિચારધારા બદલી નહીં. ગાંધીજીએ શીખવ્યું કે અહિંસા એ કયારેય કાયરતા નથી. અહિંસા જીવનમાં શક્તિનો સંચાર કરે છે. આપણને નીડર બનાવે છે કારણ કે શસ્ત્ર તે વ્યક્તિ જ રાખશે જે તેનો ઉપયોગ કરશે અને તેનો ઉપયોગ એ જ કરશે જેના મનમાં ડર હશે.
ગાંધીજી અને આચાર-વિચાર
ગાંધીજીની સૌથી મોટી ખૂબી એ જ છે કે તેમની કથની અને કરણીમાં એટલે કે આચાર અને વિચારમાં સમાનતા હતી. ગાંધીજીનું કહેવું હતું કે જે વ્યક્તિને અન્ન, કપડાં અને મકાનની જરૂર છે તેની મને સૌથી વધારે ચિંતા છે. આ કારણોસર ગાંધીજીએ પોતાનું જીવન અકિંચન બનીને વિતાવી દીધું.
ગાંધીજી અને સદાચરણ
જીવનમાં સફળતાનો સૌથી મોટો મંત્ર છે સાદગી અને સદાચરણ. ગાંધીજીનું જીવન તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાદું શાકાહારી ભોજન, બકરીનું દૂધ, આયુર્વેદિક પ્રાકૃતિક ચિકિત્સા, લાંબી પદયાત્રા, વ્યસનમુક્ત જીવન અને સમયનું પાલન... આ તમામ સાદગી અને સદાચારના ગુણ અને લક્ષણ છે. ઉચ્ચ સ્તર પર હોવા છતાં પોતાના તેમજ પોતાની નજીકની કોઈ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનો ગેરવાજબી લાભ ન લેવો સદાચરણનું જ અંગ છે.
ગાંધીજી અને છેવાડાની વ્યક્તિનું સુખ
જીવનમાં સફળ એ જ વ્યક્તિ થાય છે જે છેવાડાના વ્યક્તિની તકલીફોને ધ્યાનમાં રાખે છે. આ બધાં પ્રત્યે કલ્યાણનો મંગળભાવ છે. જ્યારે વ્યક્તિ બધા પ્રત્યે ચિંતાની મંગળ ભાવના રાખે છે ત્યારે સશક્ત વિચારધારાનું નિર્માણ થાય છે. ગાંધીજીએ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન બીજા વિશે વિચાર્યું ત્યારે તેમની વિચારધારાની શક્તિ મહાન બની. તેમનું વ્યક્તિત્વ અત્યંત વિશાળ બન્યું જેની છાયામાં સમગ્ર સમાજનું સર્જન થયું.
આવો, આપણે સહુ ગાંધીજી જેવું જીવન જીવીએ
સૌથી અગત્યની વાત એ છે કે આપણે ગાંધીજીનું જીવન જીવવાનો અનુભવ કરવો જોઈએ. આજના સમયની માગ છે ગાંધીજીને પુસ્તક અને પાઠ્યપુસ્તકમાંથી કાઢીને વાસ્તવિક જીવનમાં અપનાવવાની.
ગાંધીજીએ કહ્યું હતું...
• જ્યાં સુધી વ્યક્તિ પોતાની બુદ્ધિથી કામ નથી કરતો, દરરોજ કંઈક નવું નથી કરતો તેમજ પોતાના કામની મજા નથી લેતો ત્યાં સુધી તેનો ઉદ્ધાર નથી થતો. (‘હરિજન’ ૩૦ માર્ચ ૧૯૪૦)
• મારે દરેક વ્યક્તિને પ્રેમ કરવો જોઈએ... માત્ર ભારતનાં જ નહીં, પણ સમગ્ર દુનિયાની વ્યક્તિનો વ્યક્તિ સાથેનો મિલાપ તેમને આદર્શ વ્યક્તિ તેમજ દુનિયાને ઉત્તમ જગ્યા બનાવશે. (‘યંગ ઇન્ડિયા’ ૨૨ ડિસેમ્બર, ૧૯૨૭)
• ધર્મ એક સ્થાન પર પહોંચવાના અલગ અલગ રસ્તા છે. (‘હિંદ સ્વરાજ’, ૧૯૪૬)
