સ્વાતંત્ર્ય લડતની તવારીખ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સાલવાર સીમાચિહ્ન...
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સાલવાર સીમાચિહ્ન...
• ૧૮૫૭-૫૮ઃ ભારતની આઝાદીની પ્રથમ લડાઈ
• ૧૮૫૮ઃ બ્રિટિશ તાજે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતની સત્તા પોતાના હાથમાં લીધી.
• ૧૮૮૫ઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના.
• ૧૯૦૫ઃ અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા. તેના વિરોધમાં બંગભંગનું આંદોલન શરૂ થયું.
• ૧૯૦૬ઃ મુસ્લિમ લીગની રચના.
• ૧૯૧૧ઃ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીએ દિલ્હીમાં દરબાર ભર્યો. બંગાળના ભાગલા રદ કરાયા. અંગ્રેજોએ કલકત્તાને બદલે દિલ્હીને પાટનગર બનાવ્યું.
• ૧૯૧૫ઃ ગાંધીજીએ મે મહિનામાં અમદાવાદ નજીક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.
• ૧૯૧૭ઃ ગાંધીજીએ ચંપારણના ખેડૂતોના અધિકારો માટે સત્યાગ્રહનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું.
• ૧૯૧૮ઃ ગાંધીજીએ અમદાવાદમાં મિલ કામદારોની હડતાળનું નેતૃત્વ કર્યું. ત્રણ દિવસ બાદ મિલમાલિકો સમાધાન માટે તૈયાર થયાં. ખેડાના ખેડૂતો માટે સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું.
• ૧૯૧૯ઃ રોલેટ એક્ટ સામે દેશભરમાં વિરોધ દેખાવો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ.
• ૧૯૨૦ઃ કોંગ્રેસે અસહકાર ચળવળને મંજૂરી આપી. વિદ્યાર્થીઓએ કોલેજ છોડી, બ્રિટિશ કાપડની હોળી.
• ૧૯૨૧ઃ સવિનય કાનૂનભંગની ચળવળમાં હજારો લોકો જેલમાં ગયા.
• ૧૯૨૨ઃ ચૌરીચૌરામાં હિંસા ફાટી નીકળી. ગાંધીજીએ ચળવળ સ્થગિત કરી.
• ૧૯૨૮ઃ સાયમન કમિશન ભારત આવ્યું. બધા રાજકીય પક્ષોએ તેનો પ્રચંડ વિરોધ કર્યો. બધા પક્ષોની પરિષદની રચના. મુસ્લિમ નેતાઓએ પરિષદ સાથે છેડો ફાડ્યો.
• ૧૯૨૯ઃ કોંગ્રેસના લોહાર અધિવેશનમાં સ્વાતંત્ર્યની બુલંદ માગ. કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુએ ૨૧ ડિસેમ્બરની મધરાતે લાહોરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. સત્યાગ્રહની શરૂઆત. ભગતસિંહે ધારાસભા પર બોમ્બ ફેંક્યાં.
• ૧૯૩૦ઃ ૨૬ જાન્યુઆરીની ભારતભરમાં સ્વાતંત્ર્યદિવસ તરીકે ઊજવણી. ગાંધીજીની દાંડીકૂચ. પ્રથમ ગોળમેજી પરિષદ.
• ૧૯૩૧ઃ ગાંધી-ઇરવીન કરાર. બીજી ગોળમેજી પરિષદ.
• ૧૯૩૨ઃ ચોથા રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહનો પ્રારંભ.
• ૧૯૩૪ઃ સવિનય કાનૂનભંગની ચળવળ પડતી મૂકવામાં આવી.
• ૧૯૩૭ઃ પ્રાંતીય સ્વાયતત્તાનો પ્રારંભ. બહુમતી પ્રાંતોમાં કોંગ્રેસ પ્રધાનમંડળની રચના.
• ૧૯૪૨ઃ ક્રિપ્સ મિશન ભારત આવ્યું. કોંગ્રેસ અને મુસ્લિમ લિગે ક્રિપ્સના પ્રસ્તાવોને ફગાવી દીધા. ૮ ઓગસ્ટે કોંગ્રેસે ‘ભારત છોડો’ ઠરાવ પસાર કર્યો. ૯ ઓગસ્ટે કોંગ્રેસના નેતાઓની ધરપકડ અને કોંગ્રેસને ગેરકાનૂની સંસ્થા જાહેર કરવામાં આવી. સુભાષચંદ્ર બોઝે જાપાનીઓની મદદથી મલાયામાં ઇન્ડિયન નેશનલ આર્મી (આઇએનએ)ની રચના કરી.
• ૧૯૪૫ઃ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના પતન બાદ બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીએ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારી.
• ૧૯૪૬ઃ પ્રાંતીય સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ પરનાં કોમી તોફાનોને શમાવવા માટે ગાંધીજીએ પૂર્વ બંગાળના ૪૯ ગામોનો ચાર મહિનાનો પ્રવાસ શરૂ કર્યો. કેબિનેટ મિશને વચગાળાની સરકાર અને બંધારણ સભા માટેની તેની યોજનાની રૂપરેખા જાહેરાત કરી. પહેલાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાને નકારી કાઢી. બાદમાં કોંગ્રેસે તેનો સ્વીકાર કર્યો. આથી માત્ર કોંગ્રેસના ઉમેદવારોની બનેલી વચગાળાની સરકાર રચાઈ. મુસ્લીમ લીગે સીધી કાર્યવાહીની જાહેરાત કરતાં મુસ્લિમોએ હિન્દુઓ પર હુમલા કર્યાં. હિન્દુઓએ તેનો વળતો જવાબ આપ્યો. અલગ દેશ - પાકિસ્તાનની માગ ન સ્વીકારાય ત્યાં સુધી બંધારણ સભામાં નહીં જોડાવાની મુસ્લિમ લીગે જાહેરાત કરી. કોમી એકતા સ્થાપવા માટે ગાંધીજીએ નોઆખલી જેવા તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.
• ૧૯૪૭ઃ બ્રિટિશ સરકારે જૂન ૧૯૪૮ સુધીમાં ભારત છોડવાના તેના ઇરાદાની ૨૦ ફેબ્રુઆરીએ જાહેરાત કરી. સત્તાના હસ્તાંતરણની વ્યવસ્થા કરવા માટે વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક.
• પહેલી જુલાઈએ બ્રિટિશ સંસદે ભારત સ્વાતંત્ર્ય ખરડો પાસ કર્યો અને સત્તાના હસ્તાંતરણ માટે ૧૫ ઓગસ્ટની તારીખ નક્કી કરી. અખંડ હિન્દુસ્તાનના ભાગલા પડ્યા. ભારત અને પાકિસ્તાનની રચના થઇ. સત્તાનું હસ્તાંતરણ. લોર્ડ માઉન્ટબેટન ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.
