પાંચ વર્ષમાં આઠ લાખ લોકોને ૪૦ ટકાના ટેક્સદરમાંથી મુક્તિ
લંડનઃ ટોરી પાર્ટીની યોજના અંતર્ગત આવતા પાંચ વર્ષમાં મધ્યમ કમાણી કરનારા આશરે ૮૦૦,૦૦૦ લોકો ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર આવી જશે. વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં મર્યાદા વધારીને ૫૦,૦૦૦ પાઉન્ડ હજારો લોકોને ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર લાવવામાં આવશે. આ લોકોમાં હજારો શિક્ષકો, સીનિયર નર્સીસ અને પોલીસ અધિકારીઓ સામેલ હશે. હાલ ૨૫ ટકા શિક્ષકો અને ત્રીજા ભાગના પોલીસ પણ લેવી તરીકે ગણાયેલો ઈન્કમ ટેક્સનો ઊંચો દર ચૂકવે છે. દર ૧૦માંથી એક નર્સ પણ ઊંચા ટેક્સ દરમાં સામેલ છે.
તત્કાલીન ચાન્સેલર નાઈજેલ લોસને ૧૯૮૮માં ૬૦ પેન્સનો ઊંચો દર ઘટાડીને ૪૦ પેન્સનો દર દાખલ કર્યો ત્યારે ૧૫માંથી માત્ર એક વ્યક્તિને તે લાગુ પડતો હતો. આજે દર છમાંથી એક વ્યક્તિને અથવા તો આશરે ચાર મિલિયન વર્કરને લાગુ પડે છે. ગત ચાર વર્ષના ગાળામાં આ સંખ્યા પણ વધી છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીનો અંદાજ છે કે વર્તમાન ૪૧,૬૮૫ પાઉન્ડની મર્યાદા ફૂગાવા સાથે વધતી જશે તો બે દાયકામાં દર ત્રણમાંથી એક વર્કરને તે લાગુ પડશે.
પર્સનલ ટેક્સ એલાઉન્સ વધારીને ૧૨,૫૦૦ પાઉન્ડ કરવામાં આવે તો પણ ઓછી આવક ધરાવતાં દસ લાખ લોકો ટેક્સમર્યાદામાંથી બહાર નીકળી જશે અને ૩૦ મિલિયન લોકોને વર્ષે ૫૦૦ પાઉન્ડ સુધીની કરરાહત મળશે. ડેવિડ કેમરને કહ્યું હતું કે લઘુતમ વેતનના ધોરણે પ્રતિ સપ્તાહ ૩૦ કલાક કામ કરનારા લોકોને એક પેની પણ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં.
