યુવા પેઢીને નાણાભીડ નડીઃ લગ્ન કે સંતાનો પોસાતા નથી
લંડનઃ યુવાન બ્રિટિશરોની પેઢી ભારે નાણાભીડનો અનુભવ કરી રહી છે. તેઓ નાણાકીય ચિંતાના કારણે લગ્ન અને સંતાન માટે વિચારતાં ખચકાય છે. તેઓ જીવનની આ મહત્ત્વની ઘટનાઓ આર્થિક સદ્ધરતાં હાંસલ ન થાય ત્યં સુધી મુલત્વી રાખવા માગે છે. એક અભ્યાસ મુજબ ૨૫-૩૪ વયજૂથમાં ૧૦માંથી એક વ્યક્તિનું કહેવું છે કે તે કદી લગ્ન કરી શકશે નહિ. ૩૫-૪૪ વયજૂથમાં ૧૨માંથી એક વ્યક્તિ કહે છે કે તેમને કદી સંતાન પોસાય તેમ નથી. આ જ વયજૂથમાં ૨૫ ટકા લોકોને લાગે છે કે તેઓ કદી પોતાની માલિકીનું મકાન વસાવી શકે તેમ લાગતું નથી.
૨૫-૩૪ વયજૂથની દર પાંચમાંથી એક વ્યક્તિને તેમના પરિવાર શરૂ કરવા બે કે તેથી વધુ વર્ષનો વિલંબ, જ્યારે ૩૫-૪૪ વયજૂથમાં સાતમાંથી એક વ્યક્તિ પાંચ વર્ષનો વિલંબ રાખવાનું કહે છે. આ જ વયજૂથમાં ૨૫ ટકા લોકોએ બચતો અને રોકાણોનાં અભાવના લીધે બે વર્ષનો વિલંબ કર્યો હતો.
ઈન્વેસ્ટમેન્ટ કંપનીના અભ્યાસમાં જણાવાયું છે કે નાણાકીય પરિસ્થિતિઓ દિલની હલચલો પર સીધી અને વ્યાપક સ્તરે અસર કરી રહી છે. યુગલો દ્વારા પરિવાર શરૂ કરવાની વય ત્રીસીના ઉત્તરાર્ધ અને ચાલીસીની મધ્યે પહોંચી જાય તેમ જ મકાન ખરીદવાની જગ્યાએ ભાડે રાખવાની પ્રથા વધતી જાય તો સામાજિક અને આર્થિક વલણો સાથે હાઉસિંગ માર્કેટ પર કેવી અસર પડે તેવો પ્રશ્ન પણ અભ્યાસમાં કરાયો છે.
એન્ડ રિસર્ચ પ્લસ દ્વારા કરાયેલાં અભ્યાસમાં ૧૮થી ૮૫ વર્ષના ૩૦૦૦થી વધુ લોકોને જીવનમાં લગ્ન, સંતાન, ઘરની ખરીદી અને નિવૃત્તિ સહિત મહત્ત્વની ઘટનાઓને મુલતવી રાખવા સંબંધે પ્રશ્ન કરાયાં હતાં. નાણાકીય સમસ્યાના કારણે ૨૫થી ૫૪ વર્ષની વય સુધીના લગભગ અડધા લોકોએ નિવૃત્તિમાં વિલંબ કર્યો હતો. નાણાકીય સલામતી અને સ્થિરતાની લાગણી સૌથી નીચા સ્તરે રહેલી છે. ત્રીજા ભાગના લોકોને તેમના ભાવિ પ્રસંગો ઉકેલવા પારિવારિક વારસાની આશા હતી.
