અનુષ્કા શંકર અને ‘પેટા’એ ત્રિશૂર મંદિરને ભેટ આપ્યો યાંત્રિક હાથી
કેરળના ત્રિશૂરમાં આવેલાં કોમ્બારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિરે તેમના કોઇપણ ધાર્મિક કાર્યમાં અસલી હાથીઓના ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વધાવી લેતાં વિખ્યાત સિતારવાદક અનુષ્કા શંકરે - ‘પેટા’ (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) ઇન્ડિયા સાથે મળીને મંદિરને આઠ મીટર લાંબા અને 800 કિલો વજનના યાંત્રિક હાથીનું દાન કર્યું છે.
ત્રિશૂરઃ કેરળના ત્રિશૂરમાં આવેલાં કોમ્બારા શ્રીકૃષ્ણ સ્વામી મંદિરે તેમના કોઇપણ ધાર્મિક કાર્યમાં અસલી હાથીઓના ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વધાવી લેતાં વિખ્યાત સિતારવાદક અનુષ્કા શંકરે - ‘પેટા’ (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) ઇન્ડિયા સાથે મળીને મંદિરને આઠ મીટર લાંબા અને 800 કિલો વજનના યાંત્રિક હાથીનું દાન કર્યું છે. આ હાથીનું નામ કોમ્બારા કન્નન પાડવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ સ્વામી મંદિરના વહીવટી તંત્રે તેના કોઇ પણ કાર્યમાં અસલી હાથી નહીં ખરીદવાનો કે ભાડે ન લેવાનો નિર્ણય કર્યો તેને બિરદાવતા ‘પેટા’ ઇન્ડિયાએ મંદિરને એક મિકેનિકલ હાથી દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
પૈડાં પર ચાલતાં આ કોમ્બારા કન્નન હાથીને એક સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ‘પેટા’ની વેબસાઇટમાં અનુષ્કા શંકરે નિવેદનમાં જણાવ્યું હતું કે આ હાથી દાનમાં આપવા હું ઉત્સાહિત છું. કોમ્બારા કન્નનને ભક્તો અને તેમાં પણ બાળકોના દિલને ખુશ કરી દીધું છે કેમ કે તે મંદિરની જરૂરિયાત અનુસાર કામ કરી શકે છે. કોમ્બારા કન્નન જેવા મિકેનિકલ હાથીઓને મંદિરોમાં તહેનાત કરીને આપણે અસલી હાથીઓને તેમના મૂળ નિવાસ જંગલોમાં તેમના પરિવાર સાથે જીવન જીવવામાં સહાય કરી શકીએ છીએ. સિતારવાદક અનુષ્કા શંકરે થોડા સમય અગાઉ લોસ એન્જેલસમાં યોજાયેલાં ગ્રેમી એવોર્ડ માટે બે કેટેગરીઓમાં નોમિનેશન મળ્યું હતું.
