કચ્છની ગાયો માટે લંડનમાં ભજનસંધ્યાઃ 25 હજાર પાઉન્ડની ગોર એકત્ર
વિદેશની ધરતી પર સ્થાયી થયા બાદ પણ કચ્છીઓ વતનપ્રેમ ભૂલતા નથી. કચ્છમાં જીવદયા માટે સતત તત્પર રહેતા કચ્છીઓના ગૌપ્રેમ અને વતનપ્રેમનો અનોખો કિસ્સો સ્ટેનમોરમાં નોંધાયો છે.
લંડનઃ વિદેશની ધરતી પર સ્થાયી થયા બાદ પણ કચ્છીઓ વતનપ્રેમ ભૂલતા નથી. કચ્છમાં જીવદયા માટે સતત તત્પર રહેતા કચ્છીઓના ગૌપ્રેમ અને વતનપ્રેમનો અનોખો કિસ્સો સ્ટેનમોરમાં નોંધાયો છે.
સ્ટેનમોરના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ઘનશ્યામ હોલમાં તાજેતરમાં કચ્છમાં ગૌરક્ષા માટે ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ્તે રખડતી-ભટકતી અને બીમાર ગાયોના કલ્યાણની દેખરેખ રાખતી અને સંસ્થાઓને મદદરૂપ થવા આયોજિત ભજનસંધ્યામાં સનાતન ભજન મંડળ દ્વારા ભજનની સુરાવલી રજૂ કરાઈ હતી.
ભજનમાં 500 જેટલા લોકોએ હાજરી આપી હતી અને હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. આ ભજનસંધ્યામાં 25 હજાર પાઉન્ડ એકત્ર થયા હતા. ભારતીય ચલણમાં તે 25 લાખ રૂપિયા થવા જાય છે. લંડનમાં ગાયો માટે થયેલા આ સેવાકીય કાર્યથી સૌ કોઈ પ્રભાવિત થયા છે.
6 વર્ષના જયવાને સૌને મંત્રમુગ્ધ કર્યા
આ ભજનસંધ્યામાં મૂળ સામત્રાનો અને હાલ યુકેમાં રહેતો 6 વર્ષીય જયવાન આસાનીએ કળા વડે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. યુકેમાં રહીને તેના માતા-પિતાએ તેને ભારતીય સંસ્કૃતિની સમજ આપી અને માત્ર છ વર્ષનો જયવાન ભજનસંધ્યામાં જોડાઈને સૌને ડોલાવી દે તેવા તબલા પણ વગાડે છે. છેલ્લા બે વર્ષથી તે તબલા વગાડે છે તેના મામાને જોઈને આ કળામાં રસ પડતાં યુટ્યુબમાંથી જોઈને તે શીખ્યો હતો.
