લંડનઃ કોરોના મહામારીના કારણે લદાયેલા લોકડાઉનમાં અડધોઅડધ બ્રિટિશરોએ વજન વધારી દીધુ છે. વેઈટ વોચર્સના સર્વે અનુસાર આ સમયમાં દેશભરમાં ચોકલેટ અને બિસ્કિટ્સ હાથવગા નાસ્તા બની ગયા હતા. લોકોનું કહેવું છે કે તેમના દૈનિક રુટિન ખોરવાઈ જવાથી વજનવધારો થયો છે. જોકે, લોકડાઉન ખૂલ્યાં પછી લોકોએ વજન ઉતારવાના નેક ઈરાદા વ્યક્ત કર્યા છે.
લોકડાઉન દરમિયાન અડધોઅડધ બ્રિટિશરોએ ખાવા તરફ તો ૩૩ ટકા લોકોએ આલ્કોહોલ તરફ વધુ ધ્યાન આપ્યું હતું, ચોકલેટ અને બિસ્કિટ્સના નાસ્તા પર મારો ચલાવ્યો હતો પરિણામે, વજન વધારી દીધું છે. ૪૨ ટકા લોકોએ દૈનિક રુટિનમાં ગરબડ રહેવાથી વજનવધારો થયાનો ખુલાસો કર્યો છે. હોમ વર્કઆઉટ્સ અને યોગ વિશે વીડિયોની લોકપ્રિયતા હોવાં છતાં, બહુમતી લોકોએ જણાવ્યું હતું કે તેમણે ઓછી કસરતો કરી હતી. ૪૬ ટકા લોકોએ એમ પણ કહ્યું હતું કે ઘરમાં રહી કામ કરવાના લીધે તેઓ ઓછાં એક્ટિવ રહ્યા હતા. જોકે, લોકડાઉન હળવું થવા સાથે વધુ આરોગ્યપ્રદ આદતો અપનાવવાના સારા ઈરાદા પણ લોકોએ સર્વેમાં દર્શાવ્યા છે. આશરે ૪૬ ટકાએ નિયમિત કસરતો ફરી શરુ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને ૪૫ ટકાએ લોકડાઉન હળવું થવા સાથે વજન ઉતારવાની તૈયારી દર્શાવી છે.
લોકડાઉનના ગાળામાં લોકોના માનસિક સ્વાસ્થ્યને પણ અસર થઈ છે અને ચારમાંથી એક પુખ્ત વ્યક્તિએ પોતાની નકારાત્મક છબી સર્જી હોવાનું કહ્યું હતું. અડધાથી વધુ મહિલાને જાણે ચિંતાનો વધુ ડોઝ આવી ગયો હતો જ્યારે ૧૮-૨૪ વયજૂથના લોકોએ કંટાળા-બોરડમની ફરિયાદ કરી હતી. સાયકોલોજિસ્ટ હની લેન્ગકાસ્ટર-જેમ્સે જણાવ્યું હતું કે લોકડાઉનથી વધુપડતા ખોરાક લેવાની અને અન્ય ખરાબ આદતો પડી જવામાં કોઈ નવાઈ નથી. તણાવ, વ્યગ્રતા, એકલતા અને નાણાકીય ચિંતા વગેરે આપણને બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલની પસંદગી, કસરતના અભાવ તરફ દોરી જાય છે અને બિનઆરોગ્યપ્રદ આહાર મિજાજ અને સમગ્રતયા સાયકોલોજિકલ કામગીરી પર અસર કરે છે. સોસિશયલ ડિસ્ટન્સિંગથી પણ ઘણા લોકો નિષ્ક્રિય અને બેઠાડું બની ગયા હતા.