લંડનઃ યુકેમાં ડિમેન્શિયાનું પ્રમાણ વધી રહ્યું છ. અલ્ઝાઈમર્સ સોસાયટીના દાવા અનુસાર ડિમેન્શિયાના કારણે બિઝનેસીસને ગુમાવેલા કલાકોમાં ૩.૨ બિલિયન પાઉન્ડ ગુમાવવા પડશે. નોકરિયાતોને તેમના ડિમેન્શિયાગ્રસ્ત સ્નેહીજનોની સંભાળ લેવા સમય આપવો પડે છે અને ઘણા લોકોએ પોતાના માતાપિતાની સંભાળ લેવા નોકરી છોડવાની પણ ફરજ પડે છે. કામ કરવાની વયના આશરે ૩૫૫,૦૦૦ વયસ્કો ડિમેન્શિયાના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે. યુકેમાં ૮૫૦,૦૦૦ લોકો ડિમેન્શિયાથી પીડાય છે અને ૨૦૨૫ સુધીમાં તેમની સંખ્યા એક મિલિયનથી પણ વધી જશે.
અલ્ઝાઈમર્સ સોસાયટી વતી સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ દ્વારા સંશોધન મુજબ ડિમેન્શિયાગ્રસ્ત સ્નેહીજનોની સંભાળ લેવા ૧૧૨,૦૦૦થી વધુ લોકો દર વર્ષે તેમની નોકરી છોડી રહ્યાં છે અને ૧૪૭,૦૦૦ લોકો કામકાજના કલાકો ઘટાડી સંભાળની જવાબદારી અને કારકીર્દિ વચ્ચે સમતુલા જાળવવા સંઘર્ષ કરે છે. આ રીતે કર્મચારીઓ ગુમાવવાથી બિઝનેસીસને આ વર્ષના અંત સુધીમાં ૩.૨ બિલિયન પાઉન્ડ ગુમાવવા પડશે.
યુકેની સોશિયલ કેર સિસ્ટમ કટોકટીમાં છે અને સરકારો તેનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે. NHS અથવા સ્થાનિક કાઉન્સિલો દ્વારા કેન્સર, હાર્ટ એટેક્સ અને સ્ટ્રોકના દર્દીઓની સરખામણીએ અપૂરતી સારસંભાળ લેવાતી હોવાથી સગાંસંબંધીઓએ તેમના ડિમેન્શિયાગ્રસ્ત સ્નેહીઓની સારસંભાળ અર્થે નોકરીઓ છોડવી પડે છે. ચાન્સેલર સાજિદ જાવિદે કહ્યું હતું કે આ મુદ્દો માત્ર દર્દીઓનો નહિ, તેમની સંભાળ લેનારા અને પરિવારોનો પણ છે. સોશિયલ કેર કટોકટીના નિરાકરણમાં કરદાતાઓની સાથે જ ખાનગી ભૂમિકા પણ રહેવી જોઈએ.