લંડનઃ સમગ્ર વિશ્વમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આખા વર્ષમાં ભક્તજનો પ્રભુના દર્શન કરવા મંદિરમાં જાય છે પરંતુ, રથયાત્રાના દિવસે ખુદ ભગવાન ભક્તોને દર્શન આપવા એક દિવસની નગરયાત્રાએ નીકળે છે. લંડનમાં રથયાત્રાનો ઉત્સવ રવિવાર ૧૮ જૂને ઉજવાશે.
રથયાત્રામાં ભક્તો અને યાત્રાળુઓ જગન્નાથજીના વિશાળ કાષ્ઠરથને હાથથી ખેંચીને નગરયાત્રાએ લઈ જાય છે. જગન્નાથજીના રથની સાથે બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીના રથ પણ સામેલ હોય છે. નગરયાત્રાનું સમાપન કરાયા પછી કીર્તન, ભજન અને ભોજન સાથે સુંદર ઉજવણી કરવામાં આવે છે.
લંડનમાં ભગવાનની રથયાત્રાના વિશાળ સરઘસનો આરંભ બપોરે ૧૨ કલાકે હાઈડ પાર્કના સાઉથ કેરેજ ડ્રાઈવ ખાતેથી કરાશે અને સમાપન બપોરે ૨.૦૦ કલાકે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે થશે. આ પછી, અહીં જ થનારી ઉજવણીનું સમાપન સાંજના ૫.૦૦ કલાકે થશે. સરઘસમાં ટ્રફાલ્ગર સ્ક્વેર પહોંચ્યા પછી મફત પાણી અને મફત શાકાહારી ભોજનની પ્રસાદી લેવાનું ભૂલશો નહિ. લોકો ભગવાન જગન્નાથ અને તેમના ભક્તોના સાથને આનંદથી માણે છે. રથયાત્રા સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છે, જેમાં તમામને આવકાર મળે છે. ભક્તજનો ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે’ના નાદ અને ગુલાલ, ધ્વનિ અને નૃત્યની સાથે ઝૂમતા રહે છે.