લંડનઃ ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોએ જણાવ્યા અનુસાર યુરોપના પ્રદૂષણે ભારતમાં સૌથી ભયાનક દુકાળને જન્મ આપ્યો હતો, જેના કારણે અત્યાર સુધીમાં ૧૩૦ મિલિયન કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. ગત કેટલાક દાયકાથી ઝેરી ગેસનાં ઉત્સર્જનથી ભારતમા વરસાદી પવનો અને ચોમાસું નબળાં પડતાં જાય છે. સંશોધન અનુસાર હવા-વાતાવરણ બંનેની ગુણવત્તાની દૃષ્ટિએ પ્રદૂષણની ગંભીર અસરો વિશ્વના વિવિધ ભાગો પર થઈ છે.
ઇમ્પિરિયલ કોલેજ લંડનના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તરીય હેમિસ્ફિયરનાં મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોનાં પ્રદૂષણથી વર્ષ ૨૦૦૦માં ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનાં પ્રમાણમાં ૪૦ ટકાનો ઘટાડો કર્યો છે. આ વર્ષ દરમિયાન એકલા યુરોપનાં પ્રદૂષણથી જ વરસાદના પ્રમાણમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો.
જોકે, દક્ષિણ એશિયામાં પણ પ્રદૂષણ ઓછું નથી પરંતુ, વિશ્વના બાકીના ભાગમાંથી થતું ઝેરી પદાર્થોનું ઉત્સર્જન સ્થાનિક હવામાનની પરિસ્થિતિને પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે. સલ્ફર ડાયોક્સાઇડને મુક્ત કરતા ઝેરી પદાર્થો વાતાવરણમાં અઠવાડિયાઓ સુધી ટકી શકે છે, જેના કારણે તે સોલર રેડિએશનને શોષે છે અને તેને પરાવર્તિત પણ કરે છે. આ પદાર્થો વાદળાનાં આવરણને પ્રભાવિત કરી તેને વધારે સફેદ બનાવે છે અને તેને કારણે વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે.