અનિદ્રાથી પીડાતી સ્ત્રીઓ વધુ કેલરીવાળું ભોજન લેતી હોય છે

Friday 07th January 2022 08:06 EST
 
 

ન્યૂ યોર્કઃ જે સ્ત્રીઓ અનિદ્રાથી પીડાતી હોય છે કે ઓછી ઊંઘ લેતી હોય છે તેઓ વધુ કેલરીવાળું ભોજન લેતી હોય છે. સંશોધકોએ ૫૦૦થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે, જે મહિલાઓને ઊંઘ આવવામાં વધુ સમય લાગતો હતો તેઓ વધુ કેલેરી ધરાવતા પદાર્થોનું સેવન કરતી હતી. જે આખી રાત ઊંઘવાની મુશ્કેલી અનુભવતી હતી તેઓ વધુ ફેટ ધરાવતા પદાર્થો ખાવાનું પસંદ કરતી જોવા મળી હતી.
ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, સામાન્ય રીતે જ્યારે તમારી આંખો બંધ થયા પછી પણ ઊંઘ ન આવતી હોય અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે ત્યારે મગજને ખોટા સંદેશ મળે છે. ક્યારેક એમ લાગે છે કે, પેટ સાવ ખાલી છે અને કંઈક ખાવું પડશે તો ક્યારેક એમ બને છે કે, પેટ અત્યંત ભરેલું છે અને તેથી ઊંઘ આવતી નથી. આ લોકોને લાંબા ગાળે હૃદયની બીમારીઓ પણ થતી હોવાનું સામે આવ્યું છે. જે મહિલાઓ અનિદ્રાથી પીડાય છે તેઓ વધુ પડતું ભોજન કરે છે જેના કારણે સ્થૂળતા વધે છે જે લાંબા ગાળે હૃદયરોગ અને અન્ય રોગો તરફ દોરી જાય છે.
સંશોધકોએ જણાવ્યું કે, તેમણે મહિલાઓના ભોજન અને ઊંઘ વચ્ચે સૌથી વધારે જોડાણ હોવાનું તારણ કાઢયું છે. મહિલાઓને સામાન્ય રીતે ઊંઘની સમસ્યા હોય જ છે પણ જેઓ આ કારણે વધુ ભોજન તરફ ફંટાય છે તે બીમારીનું લક્ષણ ગણી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter