ઈન્ડિયન નેવીની ૬ મહિલા અધિકારીઓ સમુદ્રની પરિક્રમાએ

Friday 15th September 2017 05:29 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય નેવીની ૬ મહિલા અધિકારીઓની ટીમ રવિવારે સમુદ્રની પરિક્રમા માટે રવાના થઈ છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે પણજીમાં ટીમને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ મહિલા અધિકારીઓની સાથે ફોટો ટ્વીટ કરીને આજનો ‘મહત્ત્વનો દિવસ’ હોવાનું કહીને શુભકામનાઓ આપી હતી. જહાજ આઈએનએસવી તારિણી મારફતે આ મહિલા અધિકારીઓની ટીમ સમુદ્રો પાર કરીને છ મહિના પછી ભારત પરત આવશે. આ દુનિયાનું પ્રથમ જહાજ છે જેની તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ જ છે. પરિક્રમા ૫ તબક્કામાં સમાપ્ત થશે.

વડા પ્રધાને રવિવારે લખ્યું હતું કે ‘આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. નેવીની છ મહિલા અધિકારીઓ આઈએનએસવી તારિણી દ્વારા દુનિયાની પરિક્રમા માટે નીકળી છે. દેશવાસીઓ નરેન્દ્ર મોદી એપ દ્વારા તેમને શુભકામનાઓ આપીને તેમનું મનોબળ વધારી શકે છે. આ યાદગાર સફર માટે સમગ્ર દેશ આ મહિલાઓની સાથે છે.’

નેવીની આ ટીમે ગોવાના પોર્ટથી સફરની શરૂઆત કરી છે. આ સફર દરમિયાન ટીમ રાશન અને જહાજની મરામત માટે ચાર પોર્ટ ફ્રેમન્ટલ (ઓસ્ટ્રેલિયા, લિટલલેન (ન્યુઝિલેન્ડ), પોર્ટ સ્ટેનલે (ફોક્સલેન્ડ) અને કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) પર અટકશે. તેઓ માર્ચ, ૨૦૧૮માં પરત આવશે.

આ અનોખી સફરની તૈયારીઓ દરમિયાન વાઈસ એડમિરલ એ કે ચાવલાએ કહ્યું હતું, ‘સમુદ્રી સફર માટે આ તમામ મહિલા ઓફિસર્સ પૂર્ણપણે તાલીમબદ્ધ છે અને તેઓ રેકોર્ડ પણ નોંધાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter