ઉનાળામાં બહુ ઉપયોગી ગુલાબજળ

Wednesday 11th June 2025 07:32 EDT
 
 

ઉનાળામાં ત્વચા ચીકણી થઇ જવાની ફરિયાદ કોમન છે. આ ઉપરાંત પણ ત્વચા સંબંધિત બીજી પણ નાનીમોટી સમસ્યા આ ગરમીના દિવસોમાં ઉભી થતી હોય છે. સમસ્યા ભલે કોઇ પણ હોય, તેનો અસરકારક ઉપાય છે ગુલાબજળ (રોઝવોટર). ગુલાબજળનો ઉપયોગ ત્વચાની સાથે સાથે જ આંખોને પણ ઠંડક આપે છે. તો આવો, આજે જાણકારી મેળવીએ ગુલાબજળના અનેકવિધ ઉપયોગ અંગે.

ટોનર તરીકે
કોટન બોલ્સને ગુલાબજળમાં ડુબાડી દેવા. પછી આ કોટન બોલ્સને ચહેરા પર ફેરવવો અને ગુલાબજળને સુકાવા દેવું. ગુલાબજળ અને ગુલાબતેલ એક શીશીમાં ભેળવીને સ્પ્રે બોતલમાં ભરવી. હવે તેને ટોનર તરીકે સવાર-સાંજ ચહેરા અને ગરદન પર સ્પ્રે કરવું.
ગુલાબજળ એસ્ટ્રિજન્ટ તરીકે કામ કરતું હોય છે. ચહેરાના રોમ છિદ્રોને સાફ કરીને ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરીને ચહેરા પર કસાવટ લાવે છે. આ જ કારણે ગુલાબજળનો ઉપયોગ ટોનર તરીકે કરવામાં આવે છે.

મોઇશ્ચરાઇઝિંગ
ત્રણ ચમચા ગુલાબજળ, એક ચમચો ગ્લિસરીન, એક ચમચો કોપરેલ તેમજ બે ચમચા બદામ તેલ (બદામ તેલ ન હોય તો પણ ચાલે). આ બધી સામગ્રીઓને ભેળવીને એક શીશીમાં ભરી લો. હવે આ શીશીમાંથી થોડું મિશ્રણ લઇને ત્વચા પર લગાડવું. જો બદામનું તેલ ભેળવ્યું હોય તો શરીરે માલિશ કરવું. આ ઉપરાંત ક્રીમમાં પણ ગુલાબજળ ભેળવીને સ્કિન પર લગાડવું.
ગુલાબજળમાં મોઇશ્ચરાઇઝિંગનો ગુણ હોય છે. જ્યારે તેની સાથે કોપરેલ અને ગ્લિસરીન ભેળવવામાં આવે છે ત્યારે તેનો ફાયદો વધુ થાય છે. વાસ્તવમાં કોપરેલમાં એમોલિએટ ઇફેક્ટ હોય છે, જે ત્વચાની નમીને જાળવી રાખે છે. તે અને ગ્લિસરીન ત્વચા પરની નમી દૂર કરે છે. બદામનું તેલ પણ ભેળવ્યું હોય તો તે ત્વચામાં નિખાર લાવે છે. હા, પણ ચહેરા પર ખીલની સમસ્યા હોય તો આ મિશ્રણનો ઉપયોગ કરવો નહીં.

સનબર્ન અને ટેનિંગ માટે
આશરે 200 મિ.લી. ગુલાબજળમાં એક ચમચો સફરજનનો સરકો, અડધો ચમચો એલોવેરા જેલ અને લવન્ડર ઓઇલના 10 ટીપાં ભેળવવા અને શીશીમાં ભરી દો. ગુલાબજળમાં સૂરજના હાનિકારક કિરણોથી ત્વચાના રક્ષણ કરવા સહાયક હોય છે. આ ઉપરાંત એલોવેરામાં સમાયેલા હીલિંગ અને સૂદિંગ ગુણ પણ સનબર્નથી રાહત અપાવે છે. તેમજ સફરજનનો સરકો સનબર્નથી પ્રભાવિત થયેલી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે. લવન્ડર ઓઇલમાં પણ સન પ્રોટેકશન એક્ટિવિટી હોય છે, જે સૂરજના હાનિકારક કિરણોની ત્વચા પરની અસરને દૂર કરે છે.

ખીલ માટે અકસીર
એક ચમચો ગુલાબજળ, બે ચમચા ચણાનો લોટ, એક ચમચો સંતરાનો પાઉડર, અડધો ચમચો ગ્લિસરીન અને એક ચપટી હળદર લેવી. ચણાના લોટ અને હળદરને ભેળવો. તેમાં ગ્લિસરિન ગુલાબજળ અને સંતરાનો પાઉડર ઉમેરીને પેસ્ટ બનાવી લો. ચહેરાને ધોઇને આ પેસ્ટને ખીલ પર લગાડી 15-20 મિનીટ રહેવા દો અને ચહેરો ધોઇ નાખવો. આ પછી ટોનર તરીકે ચહેરા પર ગુલાબજળ લગાડી શકાય. હળદરમાં એન્ટીસેપ્ટિક અને જીવાણુરોધી ગુણ હોય છે, જે ખીલને ઓછા કરી શકે છે. ઉપરાંત સંતરાના પાઉડર અને ચણાના લોટમાં ત્વચા પરના વધારાના તેલને શોષી લેવાની ક્ષમતા હોય છે. તેથી તે એન્ટી-પિંપલ એજન્ટ તરીકે કામ કરે છે. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ ખીલની સમસ્યામાં ઘણી રાહત અપાવશે.

ત્વચાને સાફ કરવા
ગુલાબજળને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને ચહેરા પર સ્પ્રે કરવું. લગભગ 20-30 સેકન્ડ સુધી આમ જ રહેવા દેવું અને પછી ટિશ્યૂ પેપરની મદદથી હળવા હાથે ચહેરો સાફ કરવો. તમારી સ્કીન એકદમ ક્લીન થઇ જશે.

ફેસપેક તૈયાર કરો
બે ચમચા ગુલાબજળમાં એક ચમચો ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવું. હળવો મસાજ કરતા હોઇએ તેમ રગડવું અને સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. થોડાક દિવસમાં તમારો ચહેરો નિખરી ઉઠશે.

હોઠ માટે ફાયદાકારક
અડધું બીટ, ગુલાબજળના થોડાંક ટીપાં, બે ટીપાં ઓલિવ ઓઇલ. બીટને બાફીને તેનો છૂંદો કરી તેમાં ગુલાબજળ અને ઓલિવ ઓઇલ નાખીને પેસ્ટ બનાવી હોઠ પર લગાડવી. આશરે 15 મિનીટ પછી હોઠ ધોઇ નાખવા.

ત્વચાના નિખાર
ત્રણ ચમચા ગુલાબ જળ અને બે ચમચા લીંબુનો રસ ભેળવીને ચહેરા પર હળવા હાથે લગાડવું. 15 મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત કરો.

ત્વચા પર તાજગી માટે
એક નાનકડી ખીરાને મધ સાથે વાટીને તેમાં ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. 15 મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.

ચહેરા પરના ડાઘ-ધાબા
બે ચમચા ચંદન પાઉડરમાં ત્રણ-ચાર ચમચા ગુલાબજળ ભેળવીને એકદમ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. 20-25 મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. આ પેસ્ટને નિયમિત ચહેરા પર લગાડો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter