કેરળનાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા જજ થાન્યાઃ કોચિંગ વિના પરીક્ષા પાસ કરી સફળતા મેળવી

Friday 20th February 2026 08:58 EST
 
 

કન્નુરઃ કેરળના કન્નુર જિલ્લાનાં વકીલ થાન્યા નાથને કેરળ ન્યાયિક સેવા પરીક્ષા પાસ કરીને સિવિલ જજ (જુનિયર ડિવિઝન) બનવાનો માર્ગ મોકળો કર્યો છે. થાન્યા કેરળનાં પ્રથમ સંપૂર્ણ દૃષ્ટિબાધિત મહિલા છે, જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં થાન્યાએ દિવ્યાંગ શ્રેણીના ઉમેદવારોની મેરીટ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નિમણૂક પત્ર મળતાં જ પોતાનું ન્યાયિક પદ સંભાળશે. થાન્યાએ કન્નુર યુનિવર્સિટીમાંથી એલએલબીની પરીક્ષા ફર્સ્ટ રેન્કમાં પાસ કરી હતી.
એલએલબી પછી, થાન્યાએ ઓગસ્ટ 2024માં બાર કાઉન્સિલમાં નામ નોંધાવ્યું અને કન્નુર જિલ્લાના તાલિપરંબામાં વરિષ્ઠ વકીલ સુમાર કુમાર સાથે વકીલાત તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. થાન્યાની પ્રભાવશાળી કામગીરી જોઇને તેમના સિનિયર અને સહકર્મચારીઓએ ન્યાયિક સેવા પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી. થાન્યાએ કોઈ કોચિંગ વિના પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરી. ઈન્ટરવ્યુનો અનુભવ ન હોવાથી, તેમણે તિરુવનંતપુરમના વકીલ સંતોષ પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તૈયારી અને પ્રેક્ટિસ દરમિયાન તેમણે બ્રેઇલ લિપિ, સ્ક્રીન-રીડિંગ સોફ્ટવેર સહિતના અન્ય ટેક્નિકલ સાધનોનો સહારો લીધો. જોકે કોર્ટમાં ગેજેટ્સના ઉપયોગની મર્યાદિત છૂટછાટ અને સંપૂર્ણપણે પેપરલેસ સિસ્ટમ ન હોવાને કારણે તેમને ઘણી વખત બ્રેઇલ નોટ્સનો ઉપયોગ કરવો પડ્યો. આમ છતાં, તેમણે કોર્ટ પ્રેક્ટિસ કરવાનું છોડ્યું નહીં. થાન્યાના મતે, કોર્ટ બેંચ અને બાર એમ બન્ને સ્તરે તેને ભરપૂર સહયોગ મળ્યો, જેનું પરિણામ તેમની સફળતામાં ઝળકે છે.

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

થાન્યાની સફળતાનો માર્ગ માર્ચ 2025ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયે ખોલ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે દૃષ્ટિબાધિત ઉમેદવારો ન્યાયિક સેવાઓ માટે અયોગ્ય નથી. તેમને પણ પૂરતી તક મળવી જોઇએ. અદાલતે રાજ્યોને નિર્દેશ આપ્યો કે દિવ્યાંગતાના આધારે કોઈ યોગ્ય ઉમેદવારને અવસરથી વંચિત ન રાખી શકાય અને ન્યાયિક સેવાઓમાં સમાવેશી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી રાજ્યની જવાબદારી છે. આ નિર્ણયે થાન્યા જેવી પ્રતિભાઓ માટે ન્યાયપાલિકાના દરવાજા ખોલ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter