ત્વચાને ચુસ્તદુરસ્ત બનાવી ચહેરો નિખારે છેઃ માઇક્રોકરંટ ફેસિયલ

Wednesday 25th March 2026 10:08 EDT
 
 

ત્વચાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા અને ત્વચાના બ્લડ સરક્યુલેશનને વધારવા માટે અનેકવિધ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં ફેસિયલનો પણ સમાવેશ થાય છે. ફેસિયલને જો સ્કિન અને ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે. છેલ્લા કેટલાક સમયથી માઈક્રોકરંટ ફેસિયલ ટ્રેન્ડમાં છે. એમ પણ કહી શકાય કે આ એક એવી પદ્ધતિ છે જે કોઈ કેમિકલ (રસાયણ પદાર્થ) વગર એકદમ સરળ રીતે ત્વચાને સાચવે છે અને સ્વસ્થ રાખે છે. આ ફેસિયલ કરવાથી ત્વચા પરના ડાઘ ઘટે છે અને ત્વચા સુંવાળી બને છે.

માઈક્રોકરંટ ફેસિયલ ચહેરાની ત્વચાની નીચેના સ્તરમાં એટલે કે ઊંડાણ સુધી અસર કરે છે. નામ અનુસાર જ માઇક્રોકરંટ ફેસિયલમાં વિદ્યુત આવેગનો ઉપયોગ કરીને તરંગોને સ્નાયુઓ સુધી પહોંચાડાય છે, જેથી સ્નાયુઓને ઉત્તેજિત કરી શકાય અને નબળા સ્નાયુઓને વધુ કડક અને મજબૂત બનાવી શકાય છે અને પુનઃ સ્થાપિત થાય છે. એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે આ ફેસિયલમાં વિદ્યુત આવેગનો ભલે ઉપયોગ કરાય, પરંતુ એનાથી ફેસિયલ કરાવનારને કોઈ પણ જાતની પીડા થતી નથી, મતલબ કે આ ફેસિયલ પીડારહિત છે.

નવીન પ્રકારની ટેક્નોલોજી દ્વારા થતું આ માઇક્રોકરંટ ફેસિયલ ચહેરાની પેશીઓમાં ઊંડાણપૂર્વક પહોંચીને કાર્ય કરે છે, જેથી ત્વચાને પુનઃ જીવંત કરી શકાય છે. આ ફેસિયલ સ્નાયુ માળખાને લક્ષ્યમાં રાખીને થાય છે જેતી ચહેરાની ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે અને ત્વચા મજબૂત અને ટાઈટ બને છે.

માઇક્રોકરંટ ફેસિયલના ફાયદા
માઈક્રોકરંટ ફેસિયલના ફાયદા અનેક અને અસરકારક છે. સૌથી પહેલાં તો બ્લડ સરક્યુલેશનમાં સુધારો થાય છે. બ્લડ પરિભ્રમણથી કોલાજન ઉત્પાદનને ઉત્તેજિત કરી ચામડીને લીસી અને સુંવાળી બનાવે છે. ફાઈન લાઈન્સ અને કરચલીઓને ઓછી કરે છે. ચામડીના રંગમાં નિખાર આવે છે. સ્કિન તેજસ્વી બને છે.
માઇક્રોકરંટ એક એવું ફેસિયલ છે જે દરેક ઉંમરની વ્યક્તિ કરાવી શકે છે. આ ફેસિયલ અલગ અલગ ઉંમરની વ્યક્તિને કરવાની રીત અંગે વાત કરીએ તો, 25થી 30ની ઉંમર ધરાવતી યુવતીઓને ઓછામાં ઓછું ચારથી છ વખત સીટિંગ કરવાથી ફાયદો જોવા મળે છે. જ્યારે 30થી 40ની ઉંમર ધરાવતી વ્યક્તિને છથી આઠ વખત સીટિંગ લેવું પડે છે. જ્યારે 40થી 70ની ઉંમરની વ્યક્તિને ન્યૂનતમ આઠથી દસ વખત સીટિંગ લેવાની જરૂર પડે છે. આ તમામ સીટિંગ વ્યક્તિની ત્વચાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. જેમની ત્વચા પર કાળા ડાઘ ધબ્બા વધારે હોય અથવા ફાઇન લાઈન્સ અને કરચલીઓનું પ્રમાણ વધારે હોય તેમને વધારે સીટિંગ લેવાની જરૂર પડે છે. જો સ્કિન હેલ્ધી હોય તેમને ઓછી સીટિંગમાં સ્કિન ઉપર ઉત્તમ રિઝલ્ટ જોવા મળે છે.

કઇ રીતે થાય છે માઇક્રોકરંટ ફેસિયલ?
સૌપ્રથમ ચહેરાને મિલ્કથી સાફ કરવામાં આવે છે. ખાસ પ્રકારની જેલ લગાવીને ચહેરાની પેશીઓના શેપને લક્ષ્યમાં રાખી મશીન ફેરવામાં આવે છે. માઇક્રોકરંટ ફેસિયલ દરમિયાન જેલ માસ્ક લગાવવાનું હોય છે. આ માસ્ક અલગ પ્રકારનું હોય છે. આ ફેસિયલમાં શીટ માસ્ક લગાવીને આઈ માસ્ક અને લિપ માસ્ક પણ લગાવવાનું હોય છે. ટૂંકમાં, સ્કિનને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. માઈક્રોકરંટ ફેસિયલથી સર્જરી કરાવ્યા વગર જ ત્વચા વધારે યંગ અને ગ્લોઇંગ બનાવી શકાય છે.

માઈક્રોકરંટ ફેસિયલ અનેક રીતે ઉપયોગી છે. તે સ્નાયુઓને રિવાઇવ કરે છે, તેથી સ્કિનનાં છિદ્રો દૂર થવા લાગે છે. ત્વચાના રંગ અને બંધારણને સુધારે છે. કોલાજન અને ઈલાસ્ટિન વધારે છે, જેથી કરચલીઓ દૂર થાય છે. ત્વચાનું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. ત્વચા એક્ટિવ થવા લાગે છે, જેથી ત્વચાને અનેક ફાયદા થાય છે. માઇક્રોકરંટ ફેસિયલની સમગ્ર ટ્રીટમેન્ટ પીડારહિત હોય છે. આ ફેસિયલ રેગ્યુલર કરવાથી બોટોક્સ કરાવવાની જરૂર પડતી નથી. માઇક્રોકરંટ ફેસિયલ કરવામાં સામાન્ય રીતે એક કલાકથી દોઢ કલાક સુધીનો સમય લાગતો હોય છે. આ ફેસિયલથી જો લાઈન અને આઈબ્રો લિફ્ટ પણ થઈ જાય છે. આમ, એક ફેસિયલમાં અનેક ફાયદાઓ રહેલા છે. જોકે આ બધા લાભનો આધાર વ્યક્તિની ઉંમર અને ત્વચાના પ્રકાર પર રહેલો છે. તેથી આવી કોઇ પણ ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં મેડિકલ ઓપિનિયન લેવો જોઇએ અને પોતાની ત્વચાનો પ્રકાર જાણ્યા બાદ જ આ પ્રકારના ફેસિયલ કરાવો તે સલાહભર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter