પગના નખ અને પગનાં તળિયાં માટે પેડિક્યોર એ એક કોસ્મેટિક ટ્રીટમેન્ટ છે. તેમાં પગના નખને સાફ કરવા, આકાર આપવો અને સુંદર બનાવવામાં આવે છે. સાથે સાથે સ્કિન કેર પણ કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે સ્કિન, હેર અને બહુ બહુ તો હાથના નખની કેર કરીએ છીએ, પરંતુ પગની સંભાળને છેક છેવાડે રાખીએ છીએ. ઘણાને એવો પ્રશ્ન પણ થાય કે પેડિક્યોર શા માટે કરવું જરૂરી છે? તો આ પ્રશ્નનો જવાબ છે - પગની સ્વચ્છતા માટે પેડિક્યોર કરવું જરૂરી છે. પેડિક્યોર પગની ગંદકી, પરસેવો અને બેક્ટેરિયાને દૂર કરીને પગને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તે ખાસ કરીને અંગૂઠા વચ્ચે અને નખની નીચે જમા ડસ્ટ દૂર કરે છે.
• નેઈલ્સ અને ક્યુટિકલ કેરઃ નખને નિયમિત રીતે કાપવા અને આકાર આપવાથી નખના શેપની સુંદરતામાં વધારો થાય છે તેમજ નેઈલ્સ ક્લીન થાય છે, જેથી ચેપ લાગતો અટકે છે. ક્યુટિકલ સાફ કરવાથી નેઈલ્સનું સ્વાસ્થ અને દેખાવ સુધરે છે.
• સ્કિન એક્સફોલિયેશનઃ ખાસ કરીને એડી અને પગનાં તળિયાં પરની ડેડ સ્કિન સ્ક્રબ અથવા પ્યુમિસ સ્ટોન્સ તથા સ્કેપર દ્વારા દૂર કરવામાં આવે છે. જેનાથી એડીમાં કોસ અને તિરાડ પડતી અટકે છે. તે વાઢિયા થતા રોકે છે.
• મોઈશ્ચરાઈઝેશનઃ પેડિક્યોરમાં થતાં મસાજથી તેમાં વપરાતી ક્રીમ દ્વારા સ્કિનને ડીપ હાઈડ્રેટ કરવામાં આવે છે. તેનાથી ડ્રાયનેસ અટકે છે. યોગ્ય ક્રીમ વડે મસાજ કરવાથી સ્કિન શાઈની બને છે.
• બ્લડ સરક્યુલેશન સુધરેઃ પેડિક્યોર દરમિયાન પગની માલિશ કરવાથી બ્લડ સરક્યુલેશનમાં સુધારો થાય છે. પરિણામે સોજા હોય તો ઓછા થાય છે અને સ્નાયુઓને રિલેક્સેશન મળે છે.
• પગની સમસ્યાનું વહેલું નિદાનઃ નિયમિત પેડિક્યોર ફંગલ ચેપ, કોર્ન અથવા ફોલ્લા જેવી સમસ્યાઓને વહેલા ઓળખવામાં મદદ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસ અથવા બ્લડ સર્ક્યુલેશનની સમસ્યાઓ ધરાવતા લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. પગની સુંદરતા વધારે છે સેન્ડલ અથવા હિલ જેવા ફૂટવેરમાં ચોખ્ખા પગે તેમજ નેઈલ્સ પેઈન્ટ કરેલા સુંદર દેખાય છે.
પેડિક્યોરના વિવિધ પ્રકાર
(1) કલાસિક/બેઝિક પેડિક્યોર: આ પ્રકારના પેડિક્યોરમાં પગ પલાળવામાં આવે છે. સ્ક્રબિંગ, નેઈલ કેર અને નેઈલ પોલિશ લગાવવાનાં જરૂરી સ્ટેપ્સ હોય છે.
(2) સ્પા પેડિક્યોર: આ પ્રકારના પેડિક્યોર લક્ઝરી ટ્રીટમેન્ટ જેવા હોય છે તેમાં માસ્ક, સ્ક્રબ, પેરાફિન વેક્સ અથવા હોટ સ્ટોન મસાજ જેવી લક્ઝરી ટ્રીટમેન્ટ સાથે ક્લાસિક પેડિક્યોર પર બનેલ છે.
(3) ફ્રેન્ચ પેડિક્યોર: આ પેડિક્યોર નખ પર સફેદ ટીપ સાથે ક્લાસિક અને હાઈફાઈ લુક આપે છે, જે ફ્રેન્ચ મેનિક્યોર જેવું જ છે અને કુદરતી દેખાતો બેઝ કલર છે.
(4) જેલ પેડિક્યોર: તેમાં લાંબા સમય સુધી ટકી રહેતી, શાઈનિંગવાળી ફિનિશિંગ માટે જેલ પોલિશનો ઉપયોગ થાય છે. આજકાલની યુવતીઓમાં જેલ પોલિશનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.
(5) પેરાફિન પેડિક્યોર: આ પ્રકારનો પેડિક્યોર પણ લક્ઝરી પેડિક્યોર છે. તે સલૂનમાં થતું હોય છે. તે ડીપ મોઇશ્ચરાઈઝેશન માટે હોય છે. ગરમ પેરાફિન વેક્સ(મીણ) વડે કરવામાં આવે છે.
(6) ડ્રાય પેડિક્યોર: આ પ્રકારના પેડિક્યોરમાં પગને પાણીમાં પલાળી રાખવામાં આવતા નથી.
(7) સ્ટોન પેડિક્યોર: આ પ્રકારના પેડિક્યોરમાં પગ અને પગનાં તળિયાને મસાજ આપવા અને રેસ્ટ આપવા માટે ગરમ પથ્થરોનો ઉપયોગ કરાય છે.
(8) મિનિ પેડિક્યોર: આ પ્રકારના પેડિક્યોરમાં વ્યાપક મસાજ અથવા તળિયાંની સંભાળ વિના ફક્ત નેઈલ કેર અને નેઈલ પેઈન્ટ કરવામાં આવે છે.
પેડિક્યોર કરવાના અનેક લાભ
• પગમાં તથા નેઈલ્સમાં થતા ઈન્ફેક્શન, ફંગલ્સ તથા ચેપથી બચાવે છે.
• ચોખ્ખા નેઈલ્સમાં બેક્ટેરિયા એકત્ર થવા દેતા નથી.
• નિયમિત સમયાંતરે નેઈલ્સ ક્લીન કરવાથી તે સારા દેખાય છે તેમજ હેલ્ધી રહે છે. નિયમિત કેર કરવાથી નેઈલ્સ મજબૂત થાય છે અને તૂટતા અટકે છે. ક્યુટિકલ દૂર કરવાથી નેઈલ્સની આજુબાજુની સ્કિન સોફ્ટ થાય છે.
• એક્સફોલિએશન સ્કિનને ફ્રેશ અને સોફ્ટ બનાવે છે. તે ડેડ સિસ્ક્રન દૂર કરે છે.
• પગનાં તળિયાંના પરસેવાની દુર્ગંધ દૂર કરે છે.
• મસાજ પગને તથા આખા શરીરને આરામ આપે છે. તેમજ બ્લડ સરક્યુલેશન વધારે છે. પગના દુખાવામાં રાહત આપે છે.


